દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 14 મે 2013

 

ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં -
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ? – આશા ગોસ્વામી

પ્રેમ પામવાની અત્યંત ઉત્કટ, સીમાડાઓ તોડી ગાંડીતૂર બનીને વહેતી ઇચ્છા આ કાવ્યમાં સાદા સીધા શબ્દોમાં પણ તારસ્વરે અનુભવાય છે. જ્યારે હૈયું તરસથી છલકાય છે ત્યારે પ્રેમ પામવા સ્ત્રી કંઇપણ કરી શકે. કેટલા સુંદર પ્રતીકોથી અહીં અભિવ્યક્તિ થઇ છે !! તમે કહો તો મીણબત્તીથી સૂરજ સળગાવી દઉં, સોયદોરાથી આભને થીગડું મારી દઉં, સમયની બધી જ મર્યાદાઓ તોડીને સરિતાની જેમ ગાંડીતૂર બનીને છલકાઉં, સાગર ઉલેચીને ખીણો સર્જું, પર્વતો તોડીને ખીણો રચું ને એમાં મારા આંસુના સાગર છલકાવું….  પણ પછી તો ઇશ્વર તમે મને પ્રેમ કરશો ને ? કવિએ બધું જ કહ્યું છે.. પ્રેમ પામવા એ કંઇપણ કરવા તૈયાર છે. આ વાત જાણે હવે એના જીવન-મરણનો ખેલ હોય એટલી ઉત્કટતાથી રજૂ થઇ છે. કવિતામાં રચાયેલા પ્રતીકો બધું જ વ્યક્ત કરે છે, ભાવજગત અને દેહજગત… પણ આખરી ધ્યેય એનું એક જ છે, પ્રેમ, પ્રેમ એ પ્રેમ….ઝરણું નહીં, ધોધમાં ભીંજાવું છે.  બે-ચાર ઘૂંટ નહીં, આકંઠ પાન કરવું છે…

અહીં વાત ઇશ્વર માટે હોઇ શકે અને પોતાના ઇશ્વર માટે પણ હોઇ શકે. વાત કોના માટે કહેવાઇ છે એ મહત્વનું નથી, એમાં કેટલી તીવ્રતા છવાઇ છે એ મહત્વનું છે અને આ તીવ્રતા ચોક્કસ ભાવકને હલબલાવી જાય છે !!

 

સ્ત્રી અને પુરુષ વચ્ચે આ જ તફાવત છે. સ્ત્રી પ્રેમ પામવા કંઇપણ કરવા તૈયાર હોય છે અને એ અજંપો એને દેહ ધરી દેવા સુધી પણ લઇ જાય છે. કદાચ સેક્સ એની મંઝિલ નથી. એની મંઝિલ પ્રેમ અને પ્રેમ જ છે જેનો અનેકવાર લાભ પણ ઉઠાવાતો રહ્યો છે કેમ કે સેક્સ એ પુરુષની પહેલી જરૂરિયાત છે. અને સ્ત્રીને એની ખબર પડે છે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે..

આ કાવ્ય જગન્નિયંતા ઇશ્વરને સંબોધીને લખાયું હોય તોયે એની ઉત્કટતા સ્પર્શી જાય એવી છે. અને એવી હોવી જ ઘટે. એમાં મીરાંની લગન અને નરસિંહની વ્યાકુળતા પ્રગટે નહીં તો આખી વાત ફોક જાય…

સીધા સાદા શબ્દોમાં અત્યંત સરળતાથી અને છતાં અત્યંત ઉત્કટતાથી વ્યક્ત થતા આ શબ્દોમાં એવી કલામય અભિવ્યક્તિ છે કે જે ભાવકને વિચરતા અને વિચારતા કરી મૂકે છે અને આ જ કવિતા કલા છે.

અહીં સંત કબીરના શબ્દો પણ યાદ આવે

તલફે બિન બાલમ મોર જીયા

દિન નહીં ચૈન રાત નહીં નિંદિયા

તલફ તલફ કે ભોર કિયા

તનમન મોર રંહટ અસ ડૌલે

સૂન સેજ પર જનમ છિયા

નૈન થકિત ભયે પંથ ન સૂઝૈ

સાંઇ બેદરદી સુધ ન લિયા

કહત કબીર સુનો ભાઇ સાધો

હશે પીર દુખ જોર કિયા

 

Posted by: readsetu | મે 14, 2013

બ્લોગલ ગુજરાતી

સાયબર સફર સામયિકમાં પ્રકાશિત

બ્લોગ એટલે શું એની જાણ એક સખી દ્વારા થઇ અને એનો બ્લોગ જોયો ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગવિશ્વ જોઇને તો ઓહોહોહો થઇ ગયું. મને પણ મારો બ્લોગ શરૂ કરવાનું મન થયું. ઇમેગેઝીન રીડ ગુજરાતી પ્રકાશિત કરતા શ્રી મૃગેશભાઇ શાહે બહુ પ્રેમથી મારો બ્લોગ ખોલી આપ્યો અને એક નવી દુનિયામાં પ્રવેશ કર્યો.

બ્લોગને અમુક અંશે ઇ-સામયિક જેવું કહી શકાય જેમાં કોઇ પોતાની જ રચનાઓ અને કોઇ બીજાઓની રચનાઓ પ્રકાશિત કરતા હોય. સમયાંતર બધાના જુદા જુદા હોય. શરૂઆતમાં હું એમાં ક્યારેક ક્યારેક મારી રચનાઓ મુકતી. પણ નિયમિત રીતે સક્રિય રહી શકતી નહીં. ક્યારેક બ્રેક એટલા લાંબા થઇ જતા કે આગળ પાછળના રેફરન્સ ભૂલાઇ જાય. પછીથી હું એમાં નિયમિત બની. મારી રચનાઓ, ઉપરાંત જે મને ઉપયોગી લાગ્યું હોય, ગમ્યું હોય, જાણીતો પ્રયોગ કરૂં તો ગમતાંનો ગુલાલ… અલબત્ત, ધ્યેય મારી રચનાઓ બીજા લોકો સુધી પહોંચાડવાનું…..

મારો બ્લોગ રીડસેતુ શરૂ કર્યો ત્યારે એક બાળકને નવું રમકડું મળે એવો આનંદ હતો… હજીયે કંઇક એવું જ કહી શકાય. ભલે ઘણા દિવસોની પોસ્ટ એકસાથે મૂકી દઉં છું તોયે એ કામ સમય તો ખાય છે જ. ક્યારેક એમ પણ થાય કે આના કરતાં એટલો સમય નવું લખવામાં આપું તો વધારે સારૂં ન રહે ? પણ હવે બ્લોગ જાણે વ્યસન થઇ ગયું છે. કોઇ માત્ર લાઇકનું બટન દબાવે તોય આનંદ તો થાય જ છે. પ્રજ્ઞાબહેન કે સુરેશભાઇ જેવા લોકોની ટિપ્પણી વાંચવી ચોક્કસ ગમે છે. આ સિવાય પણ બીજા લોકો કંઇક કંઇક કોમેંટ આપે એનાથીયે મનને સારું લાગે છે. પોતાના લખાણનો પ્રતિભાવ એક લેખકના જીવને જે આનંદ આપે એ જ આમાંથી પામું છું.

બ્લોગ દ્વારા હું શું પામી ? ફટ દઇને કહી શકાય એવો જવાબ, વિશ્વના કયા ક્યા ખૂણે, કેવા કેવા મજાના લોકો સાથે પરિચય થયો !! જેમનો પરિચય બ્લોગ દ્વારા થયો એનું મોટું લિસ્ટ બને. અમેરિકાના બ્લોગર શ્રી સુરેશભાઇ કે કેરોથી પોતાનો બ્લોગ ચલાવતા મુર્તઝા પટેલ સાથે માત્ર પરિચય જ નહીં, સારી મિત્રતા પણ કેળવાઇ. ગુંજન સામયિકના શ્રી આનંદરાવ હવે ભારત આવે અને મળે નહીં એવું ન બને. આ પરિચયો માત્ર અને માત્ર બ્લોગ દ્વારા !! વાસંતી કે રૂપેનભાઇ જેવા મિત્રોએ મદદ પણ કરી. બ્લોગવિશ્વમાં ન આવી હોત તો કદાચ આ કોઇને હું ઓળખતી ન હોત. જેમની સાથે બીજા માધ્યમો દ્વારા પરિચય થયો હતો એમને બ્લોગે વધુ જીવંત બનાવ્યો. આ ઉપરાંત મારું લખાણ વાંચી પ્રસંગોપાત કોમેંટ આપનારા તો અનેક !!

બ્લોગ દ્વારા વૈશ્વિક સંવાદની આખી દુનિયા મારી સમક્ષ ખૂલી ગઇ…બ્લોગમાં પોસ્ટ મૂકવી, લોકોના પ્રતિભાવને વધાવવા અને એ રીતે અંગત સંવેદનાનોય વિસ્તાર થયો. કોઇની ને કોઇની રચનાઓ પોતાના બ્લોગ પર મૂકતા રહેતા બ્લોગર પાસેથીયે ઘણીવાર કામની માહિતી મળી રહે છે અને તેઓ એ રીતે સાર્થક બની રહે છે. બ્લોગ વિશ્વની વ્યાપકતા અને અત્યંત સરળ ઉપલબ્ધિને કારણે સારા સારા લેખકો – પત્રકારો પણ હવે આ માધ્યમને પસંદ કરે છે.

સાયબર સફરના તંત્રી હિમાંશુભાઇએ વિષય જરા અઘરો આપ્યો છે પણ એ નિમિત્તે મને મારું આ કામ વધુ ઊંડાણથી વિચારવાનો મોકો મળ્યો. કોઇપણ માનવી પોતાની ફરજો પ્રત્યે પૂરો સમર્પિત હોય કે ગમે એટલો વ્યસ્ત હોય, હળવાશની પળોની દરેકને જરૂર પડે છે. બ્લોગ માટેની તૈયારી કે પછી બ્લોગ દ્વારા થતું કૉમ્યુનિકેશન, એ દ્વારા અનેક લોકો સાથે થતો સંવાદ, ક્યાંક ને ક્યાંક, કોઇક ને કોઇક રીતે મનના ખાલી ખૂણા ભરે છે. દરેક પળે, દરેક દિશામાં બાંધછોડ તો કરવી જ પડે છે (જાત સાથેય) એ જીવનનું સત્ય હવે દૃષ્ટિ સમક્ષ ઊઘડતું જ રહે છે અને મિત્રોની જરૂરિયાત પણ અવગણી નથી શકાતી ત્યારે આ સાધનથી મળતી સુખની ક્ષણો ઝીલી લઉં છું. અલબત્ત, કોઇપણ બાબત દરેક માટે, દરેક સંજોગોમાં લાગુ ન પાડી શકાય અને એય ખરું કે જીવનના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક ક્ષણમાં ભગવદગીતામાં પ્રયોજાયેલા શબ્દ વિવેકની સમજણ અને સતત સ્મરણ રહે, એ દૃષ્ટિ કેળવાય અને એનો અમલ થઇ શકે તો ક્યાંયથી પણ સારું પ્રાપ્ત કરવામાં અને નઠારું છોડી દેવામાં સહેજે તકલીફ ન પડે. શું બ્લોગ કે શું બીજું કંઇપણ !!!

 

 

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 7 મે 2013

માથું ફાટે ને બધાં જ વિચારો

ભાગીને બહાર જતા રહે !

આંખ ફાટે ને જોયેલાં દૃશ્યો

ઊડી જાય ક્યાંક, કાયમ માટે !

કાન ફાટે ને સાંભળેલું બધું જ

બહેરું થઇ જાય, સદાકાળ !

મોં ફાટે ને બોલાયેલાં કે નહીં બોલાયેલાં

શબ્દો ધસી જાય ચિર મૌનમાં !

હાથ ફાટે ને દરેકે દરેક સ્પર્શ

ચામડી સોંસરવો નીકળી જાય !

છાતી ફાટે ને લાગણી માત્ર

વહેતી જાય આખેઆખો પંડ ચીરીને !

પગ ફાટે ને પ્રવાસ કે પગલાં

દોડ્યાં જાય સમયની આરપાર !

માણસ ફાટે ને એક સળગતો જ્વાળામુખી

ઠંડો પડી જાય એકાએક !! ….. છાયા ત્રિવેદી  

મૃત્યુ એટલે શું ? આપણા શાસ્ત્રોમાં એને ચિર શાંતિ સાથે સરખાવાયું છે. અહીં કવયિત્રીએ મૃત્યુની હૈયાફાટ રજૂઆત કરી છે. દસકાઓ સુધી જીવાયેલું એક આખેઆખું જીવન સાવ ફાટી જાય, લીરેલીરા થઇ જાય અને પાછળ એક ધરતીકંપ રચતું જાય. ધરતીકંપમાં ધરતી ફાટે છે, જ્વાળામુખી ફાટે છે, કંઇક એવી જ વાત અહીં કવયિત્રીએ મૃત્યુ સાથે અત્યંત અસરકારક રીતે સરખાવી છે.

વિચારોથી જ માનવીનું અસ્તિત્વ છે. એકવાર માથું એવું ફાટે છે કે વિચારોનું પૂર એમાંથી સદાને માટે વહી જાય છે. આંખ એવી ફાટે છે કે જીવનભર એણે જોયેલાં દૃશ્યોની પૂર્ણાહુતિ થઇ જાય છે. કાનથી એણે સાંભળેલા શબ્દોનો સદાકાળ માટે  સર્વનાશ થઇ જાય છે. મોં ફાટે અને એના શબ્દો ચિર મૌનમાં ધસી જાય છે. હાથમાંથી સ્પર્શ ફાટીને ચામડી સોંસરવો નીકળી જાય છે અને છાતીમાંથી એની લાગણી આખો પંડ ચીરીને બહાર ફૂટી નીકળે છે. એના પગમાંથી પ્રવાસ કે પગલાં સમયની આરપાર થઇ ક્યાંય દૂર નીકળી જાય છે અને આમ માણસ ફાટે કે એક સળગતો જ્વાળામુખી જાણે એકાએક ઠંડો પડી જાય છે.

 

વાત મૃત્યુની છે. એક જીવતો માણસ અચાનક મૃત્યુ પામે અને એની બધી જ ક્રિયાઓનું જે સમાપન થાય એને માટે કવયિત્રીએ ‘ફાટે’ શબ્દ વાપર્યો છે. આ શબ્દ વગર પણ તે આ વાત આસાનીથી શક્યા હોત. જેમ કે દૃશ્યો આંખમાંથી કાયમ માટે ઊડી જાય કે સ્પર્શ ચામડી સોંસરવો નીકળી જાય. આમ પણ આપણે જે ‘જીવ નીકળી જવો’ કહીએ છીએ તે અદૃશ્ય ક્રિયા જ છે. પરંતુ અહીં કવયિત્રીએ યોજેલો ‘ફાટે’ શબ્દ મૃત્યુની ભયંકરતાને વધુ ઉપસાવે છે. અહીં એમને કદાચ એને આખરી લાઇન ‘જ્વાળામુખી’ સાથેય અનુસંધાન આપવું હશે. કેમ કે માનવીના મૃત્યુને એમણે એક જ્વાળામુખીના ઠંડા પડવા સાથે સરખાવ્યું છે.

 

રીત કોઇ પણ હોય, માણસનું મોત એક એવી બીના છે જેને કદી ઉકેલી શકાઇ નથી. એકાએક એક પછી એક અંગો કામ કરતાં બંધ થાય અને ધીમે ધીમે કે ક્યારેક સાવ અચાનક શ્વાસ અટકી જાય, અને એક હરતો ફરતો માણસ લાકડું થઇ જાય. કવયિત્રીએ માનવીના મોતને અત્યંત હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યું છે !! મૃત્ય પર આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણાં ગીતો, કાવ્યો રચાયાં છે જેમાં કવિ રાવજી પટેલનું,  ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો, અજવાળાં પહેરીને ઊભા શ્વાસ….’ ખૂબ જાણીતું છે.  ડેથ એટ માય ડોરસ્ટેપ નામના એક અંગ્રેજી કાવ્યનો મનીષ મેકવાને કરેલો અનુવાદ પણ જોવા  છે.

મોત મારી ઉપર ચઢ ઉતર કર્યા કરે છે રોજ.
છાતીએ તેને અટકવું છે, / ગળે તેને વળગવું છે,
ડૂમો બનીને ચૂમ્યા કરે છે રોજ. / મોત મારી ઉપર ચઢ ઉતર કર્યા કરે છે રોજ.
કદી આંખમાં કળતર બનીને, / ક્યારેક નાકમાં ગળતર બનીને,
કશે દોસ્ત નામનું નડતર બનીને, / કોઈદી શ્વાસ ચુંથ્યા કરે છે રોજ,
મોત મારી ઉપર ચઢ ઉતર કર્યા કરે છે રોજ. / કદી પગમાં, કદી નસમાં,
કદી નિરંકુશ, કદી વશમાં, / નખમાં, વખમાં, અક્ષમાં, વક્ષમાં,
રૂહમાં, જીહવાપે ચચર્યા કરે છે રોજ, / મોત મારી ઉપર ચઢ ઉતર કર્યા કરે છે રોજ…..

 

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ કોલમ > 30 એપ્રિલ 2013

કાવ્યસેતુ – 84  લતા જ. હિરાણી 

તારાની સાસુ

કોને ખબર કેવી જગ્યાએ તું મને લઇ આવ્યો છે, બેટા ?

અહીં બધી જ બારીઓ હંમેશા બંધ રખાય

ને આગલે બારણે હંમેશા તાળું વાસ્યું હોય ?

ભલે પધાર્યા કહેવા માટે

ઉંબરામાં કોઇ જ રંગોળી નહીં ?

લક્ષ્મીજી ક્યાંથી પધારે, બેટા ?

જ્યાં એની એ જ હવા ગોળગોળ ફરતી હોય ત્યાં

લક્ષ્મીજી પધારવાની પરવા કરે ખરાં, કહે તો બેટા ?

કમળ પર જે બિરાજમાન છે અને

આદિકાળના દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવની પત્ની

તું શું એમ ધારે છે કે ડબ્બામાં ને બરફમાં સંઘરેલું

ત્રણ દિવસનું વાસી ખાવાનું આરોગશે ?

બેટા, હું ખૂબ રાજી છું, બેટા

તને સારી રીતે ઠેકાણે પડેલો જોઇને

બાળકો ને પત્ની ને બધું જ,

જોકે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે

કે તું અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે ત્યારે

ઊભાં થઇ થઇ જાય છે મારાં રુંવાડાં.

પણ હું રાજી છું બેટા, ખરેખર રાજી છું

એ વાતે કે તું ઠેકાણે પડી ગયો, સારું થયું સારું

અને મને લઇ આવ્યો છેક આટલે દૂર

આ તારું રૂપકડું ઘર, તારી કાર અને બધું જોવા.

પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી.

ગઇ કાલની રસોઇની વાસ

હવામાં ગોળગોળ ફર્યા કરતી

બેટા, રસોઇ તો રોજ કરવાની બાબત છે.

માત્ર રવિવારે કરવાનું કામ નથી

બેટા, રસોઇનો મઘમઘાટ મજાનો હોય

સોડમ ઉછળતી હોય,

હળદર ને લીલી કોથમીરની

અને ગરમ તેલમાં રાઇનો તડતડાટ

જમણમાં સોડમ લાવે, હવાને ગંધવી મારે નહીં

બધી બારી ખોલી નાખ બેટા

મને ટેવ છે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની

સવારે પંખીનો, રાત્રે વરસાદ ને પવનનો.

ફર્નેસ ફેનનો ઘરઘરાટ નહીં

અને ગરમ હવાના સુસવાટા નહીં

અને વોશિંગ મશીનનું વ્હૂશ વ્હૂશ નહીં

બધી બારીઓ ખોલી નાખ બેટા

અને મને પાછી જવા દે

સૂર્ય અને હવા તરફ

અને પરસેવો અને માખી ને એવું બધું

પણ આ તો નહીં જ, ના નહીં જ…  ઉમા પરમેશ્વરન (અનુ. નીતા રામૈયા)

કશું જ લખવાની જરૂર નથી આ કાવ્ય વિશે … વિદેશ પહોંચેલી મા કેવો મુંઝારો અનુભવે છે !! દીકરો ઠેકાણે પડ્યો છે, એની ખુશી જરૂર છે પણ એની રહેણીકરણીથી એના જીવને જરાય શાંતિ નથી. સમયના ટુકડાઓમાં બંધાઇને, સંઘરાઇને ફ્રીઝાયેલું આ વાસી જીવન એને કેમેય મંજુર નથી.  એ પોતાના દેશમાં, તાજગી અને અજવાળાના દેશમાં ફરી પાછા આવવા ઝંખે છે એનું એકદમ સરળ અને સ્પર્શી જાય એવું  વર્ણન છે !! તમે જ વાંચો અને અનુભવો…. 

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 23 એપ્રિલ 2013

કાવ્યસેતુ  83   – લતા જ. હિરાણી

કોડિયાં એલી નહીં રે મીં તો જેગવી દીધાં તન

જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય

દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય

હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન ……

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું

નેવાં ઊઠી ડોકિયું કરે, રોજનું આ તો થ્યું

ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન …

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં

ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી હઉં

’ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન …….. ઊજમશી પરમાર

કવિતા જ્યારે ગીત સ્વરૂપે આવે છે, સૂરમાં પલોટાઇને  આવે છે ત્યારે એ કાન દ્વારા વધુ પીવાય છે. આ ગીત સૂરબધ્ધ થયું છે કે નહીં એની તો જાણ નથી પણ કવિએ પોતે તો નિજાનંદે જરૂર ગાયું હશે..

કવિની નાયિકા કોડિયાં નહીં, તન ‘જગવી દે’ છે. અહીં ‘જગવી દીધા’ જેવો ગામઠી પ્રયોગ પણ ખૂબ રસપ્રદ બની ગયો છે. પિયુની વાટ તનમનમાં જે આગ લગાડે છે એનું અહીં મસ્ત નિરૂપણ છે. આટઆટલી પ્રતિક્ષા મનને ક્યાંથી જંપવા દે ? દિવસ તો માંડ વીતે છે ને સાંજ પડે કોઇના ભીનાં પગલાં વાયરાની સાથે વાય છે, હૈયાની આરપાર ઊતરી જાય છે અને મનને દોડવું ન હોય તોય દોડું દોડું થાય છે. જોકે આ તો માત્ર કહેવાની વાત છે. નાયિકાને તો દોડવું જ છે પિયુની પાસ, પણ એ અઘરું છે એટલે આવું કહે છે.

પહેલી કડીની છેલ્લી પંક્તિ છે, ‘હીંચવા માંડે ઘર  ભરીને ગાણાનું ગવન’…. ગવન એટલે ગ્રામ્ય પ્રદેશોમાં ચણિયા પર પહેરાતો કબજો યાને બ્લાઉઝ. આ ગવન માટે બીજોય સરસ ગામઠી શબ્દ છે, ‘કમખો’.. ગવનમાં ફાટફાટ ગાણાં ભર્યા છે ને એનાથી આખુંયે ઘર હીંચવા લાગે છે. ગવન શબ્દનો પ્રયોગ નિર્દેશ કરે છે કે નાયિકાની છાતીમાં આનંદ દાબ્યો દબાતો નથી. એ એટલો ઉછળે છે, છલકાય કે એનાથી ઘર આખું ઝૂલે છે. પ્રેમમાં ડૂબેલી વ્યક્તિની આ જ દશા હોય છે.

આટઆટલી ઝંખના છતાં નાયિકા બધું ઉઘાડેછોગ તો કહી/કરી નથી શકતી. એ કહે છે, ‘આ ટોડલા મૂઆ ટહુકે છે, મારે શરમાવાનું રયું’. ટોડલે મોર ચિતરેલા છે અને એય એના મનની જેમ પિયુની પ્રતીક્ષામાં ટહૂક્યા કરતા હોય એવું એને લાગે છે. એ એને મીઠુંયે લાગે છે ને એની એને શરમ પણ આવે છે. અરે, ટોડલાં તો શું, આ નેવાંય ઊઠીને ઘરમાં ડોકિયું કરે છે. ને વળી આ કોક ‘દિની વાત નથી….રોજનું થયું છે. કરવું તો શું કરવું ? એને થાય છે, હું ભીંતમાં ગરું તોય ત્યાંથી સાજન તો આવશે. હું શરમાઇને જઇશ ક્યાં ? સાજનના આવવાની અતૂટ શ્રદ્ધા અહીં ભળાય છે. અહીં ‘ગરું’ એટલે ‘ઘુસવું’ કે અંદર જવું’. ‘ગરવું’ શુદ્ધ કાઠિયાવાડી શબ્દ છે ને આ પ્રેમગીતમાં એની એક જુદી જ સુગંધ છે.

નાયક આવે તો સ્વાભાવિક જ ફળિયામાં પહેલાં પ્રવેશે. નાયિકા કહે છે કોઇ જો આવે તો હાથનું ભરત મેલીને ઊભી થઉં પણ એ જ્યારે આવશે ત્યારે મારી મોર્ય (પહેલાં) ફળિયું લળીને એનો આદર સત્કાર કરશે. અરે, પવન પણ દોડીને એને ઓળખી જશે..  પોતાની પહેલાં આ બધાં એની પાસે પહોંચી જશે !!! પિયુની પ્રતિક્ષાની અત્યંત મધુર ને ઉત્કટ ભાવના અહીં વ્યક્ત થઇ છે….

કવિના આ ગીતમાં કેટકેટલાં પ્રતિકો જીવંત બની ઊઠ્યાં છે. કાવ્યમાં નિરૂપેલાં બધાં જ પ્રતિકોમાં પૂરેપૂરા માનવીય ભાવોનું આરોપણ થયું છે. વાયરાની સાથે પગલાં વાય છે અને ગાણાનું ગવન ઘર ભરીને હીંચ્યા કરે છે. ટોડલાં ટહૂકે છે ને નેવાં ડોકિયાં કરે છે. અરે, ફળિયુંયે લળી લળીને જુએ છે. કવિતાના શબ્દો ગાનને એકદમ અનુરૂપ છે. આખાય કાવ્યનો એક અખંડિત લય છે અને એમાં વહે છે મીઠો પ્રતિક્ષા રસ….. જોબનનો આ કદીય ન ખૂટનારો ભાવ છે. અહીં મને આશ્લેષ ત્રિવેદીની ગઝલ યાદ આવે છે.

ઓઢીને લીલોતરી બેઠા છીએ / એક ટહુકાને સ્મરી બેઠા છીએ.

ખૂટતા રંગો ભરી દે તું હવે / સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.

અંત એનો શું હશે કોને ખબર ! / વારતા તો આદરી બેઠા છીએ.

મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા / આજ કોને સાંભરી બેઠા છીએ

 

 

 

 

 

 

 

 

 

 

 

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 16 એપ્રિલ 2013

કાવ્યસેતુ – 82    લતા જ. હિરાણી

ક્યારે, ક્યારે, ક્યારે કહોને, ક્યારે મળશે અધિકાર ?

ટૂંપી નાખે શ્વસતાં પહેલાં, જન્મ્યાં પહેલાં મારે

દીકરી દીવડી ઝાંખી પાંખી, પ્રગટ્યા પહેલાં ઠારે

લૂખો રોટલો, લૂખ્ખાં હૈયાં, દીકરી કેરા ભાણે

જીવે તો શું પામે, એ તો જગ આખું યે જાણે

ઝીણાં ઝીણાં વણબોલેલાં દુખડાં કેવાં ભારે ?

નજરો ભૂખી ડાંસ; જે વાગે, ભૂંડુ બોલી મારે.

ઘુમટે ઢાંકે, ઘરમાં ગોંધે, લક્ષ્મણરેકા દોરે

’મર્યાદા’, ‘આમન્યા’, ‘ઘરની ઇજ્જત’ કહી હૈડું કોરે

કાઢી મૂકે, ધક્કેલી દે વાતવાતમાં ઘરની બહાર

કાચનું વાસણ, કાચો દોરો, આ તે શો સ્ત્રીનો સંસાર ?

ક્યાં જઇને કરવી ફરિયાદ ? કોને જઇ કરવો પોકાર ?

નારીનાં નરવાં જીવતરનો ક્યારે કહો, મળશે અધિકાર ? સરૂપ ધ્રુવ

ભૃણહત્યા અને સ્ત્રીઓ પર થતા જુલમ, અત્યાચાર સામે આક્રોશભરી જબાનમાં લખતા કવયિત્રી સરૂપ ધ્રુવનું આ કાવ્ય એક દીકરી પર થતા જુલમને અને એને થતા અન્યાયને છાપરે ચડીને પોકારે છે. કવિતા વાંચતા જ સમજાય કે કવિતાના માધ્યમ દ્વારા કવયિત્રીનો ઇરાદો સૂતેલા લોકોને જગાડવાનો છે. એક છોકરીની / સ્ત્રીની સીધી સાદી વાત એ સરળતાથી પણ પૂરા આક્રોશથી અને પૂરા જુસ્સાથી કરે છે.

નાનકડી બાળા કહે છે, મને જન્મવાનોયે અધિકાર નથી. જન્મતાં પહેલાં મારા શ્વાસ રૂંધી નાખે છે. દીકરી તો એવી ઝાંખીપાંખી દીવડી છે જે પ્રગટે એ પહેલાં જ એને મા-બાપ ઠારી નાખે છે. કહો ને, મને જન્મવાનો ક્યારે અધિકાર મળશે ? આ પૃથ્વી પર હું નિર્ભય રીતે ક્યારે અવતરી શકીશ ?

જન્મીયે ગઇ તો પછીયે મારા માર્ગમાં કેટકેટલાં રોડાં છે ? મને જીવીનેય શું મળવાનું છે ? ભાઇને ગરમ ને મને લૂખ્ખો રોટલો પીરસાય છે. આ ઉપરાંત રોજબરોજની જિંદગીમાં નાના મોટા કેટલા અન્યાય !! ઘરના કામનો ઢસરડો મારે જ ખેંચવાનો હોય. ચારેકોરથી ભૂખી નજરો મારે ખમવાની હોય. ગંદા શબ્દો મારા માટે જ !! મને ઘરમાં ગોંધી રાખવા માટે ઘૂમટાઓ પહેરાવે, બહાર નહીં નીકળવા માટે લક્ષ્મણરેખાની વાતો કરે અને એને વળી ‘મર્યાદા’, ‘આમન્યા’ કે ‘ઘરની ઇજ્જત’ જેવા રૂપાળાં નામો આપે !!

અમારે માટે કોઇ સુરક્ષા નહીં. અમને ગમે ત્યારે ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકે !! જાણે અમે કાચનું વાસણ !! કે કાચો દોરો !! તોડીને ફેંકી દીધો !! આ તે કેવો સ્ત્રીનો સંસાર છે ? આ દુખ ક્યાં જઇને કહેવું ? કોને પોકાર કરવો ? કોણ અમારી વાત સાંભળશે અને કોણ અમને ન્યાય આપશે ? નારીના નરવા જીવતરનો કહો ને ક્યારે અધિકાર મળશે ? અત્યારે તો ક્યાંય કોઇ આરો કે સુખનું કિરણ સુદ્ધાં દેખાતું નથી !! આ કાવ્યમાં નરી લાચારી પ્રગટે છે તો આક્રોશની જ્વાળાઓ પ્રગટાવતું એમનું જ બીજું જાણીતું કાવ્ય અહીં જરૂર નોંધવું પડે.

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !

પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું

મળ્યો વારસો એને દાંત ને ન્હોરનો, બસ ! અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો !

અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું,

તિરાડોની વચ્ચેનું અંતર નિરંતર, તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો !

સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેલીમાં કરવતનું કૌવત કસું છું,

પછી કાળી રાતે, અજગર બનીને, મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો !

નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !

પણે દોર ખેંચાય, ખેંચાઉં છું હું, અધવચ નગરમાં વસું છું હું, મિત્રો !

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 9 એપ્રિલ 2013

કાવ્યસેતુ 81  – રક્ષા શુક્લ

મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી

પીડાના પટ્કૂળ પે’રેલી, હું જ મને અણજાણી

સંવેદનાના સળવળ જળ ને જળની આડે પાળા

બાકી સઘળું સજ્જડ સાબુત, હૈયાં થાતાં આળાં

કલરવમાં હું ક્યાંય હતી ના, વેરાને વેરાણી

મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી……

કળશ કાંગરા મૌન, ઝરુખા મોભારા સુમસામ

શ્રાવણમાં પણ તરસ તરસ છે, હૈયે રાખી હામ

સંકેલો આ પાનેતરની ઘુઘરિયાળી વાણી

મુંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી….. રક્ષા શુક્લ

બસ એ જ, એ જ સદીઓ જૂનો સ્ત્રીનો મુંઝારો, અકળામણ, પીડા અને જીવનમાં ફેલાયેલી વેરાનગી. જુદી જુદી રીતે રજૂ થતી અને તો યે ન્યાય ન પામતી સ્ત્રીની એ જ ઘવાયેલી અને ઘવાતી રહેતી સંવેદનાનું કાવ્ય..

મુંઝારાનો મહેલ છે અને એની વચ્ચે અમે સોડ તાણી છે. મુંઝારો અને સોડ આ બંને શબ્દો સાથે પ્રયોજીને કવયિત્રીએ સારી શરૂઆત કરી દીધી છે. સોડ તાણીને આરામ કરી શકાય પણ જ્યાં મૂંઝારો અભરે ભર્યો હોય ત્યાં સોડ તાણવાનો શો અર્થ ? જીવને ચેન મળવું કેટલું મુશ્કેલ !! ‘હું જ મને અણજાણી’ કહીને કવયિત્રી કહે છે, પીડા શરીરને એવી વીંટળાયેલી છે કે હવે એની પાસે પોતાની જાતનીયે ઓળખ બચી નથી.

સંવેદનનાના જળ સળવળ થાય છે પણ ત્યાં આડે પાળા બાંધી દીધા છે, એને વહેવા માટે કોઇ જગ્યા નથી રાખી. એક હૈયું આળું થઇ ગયું છે, બાકી બધું સાબુત જળવાયું છે. એની પાસે કલરવ નહોતો, ખુશી આનંદની કોઇ પળો એના માટે સચવાઇ નહોતી. એના ભાગ્યમાં લખ્યું હતું માત્ર રણ, ને એ આખરે વેરાનમાં જઇને વેરાણી..   

નાયિકા કહે છે, આસપાસ બધી જ સુખસગવડો છે. પણ એ મારે કંઇ કામના નથી. મારા માટે માત્ર મૌન છે. હૈયે હામ રાખું છું, કહો કે રાખવી પડે છે જરૂર, પણ ભરચક વરસતા શ્રાવણ જેવા શ્રાવણમાંયે હૈયું તરસ્યું જ રહે છે. મારે નથી જોઇતું આ પાનેતર. એની ઘુઘરીનો રણકાર છેતરામણો છે, એણે હંમેશા ખોટાં ઝાંઝવા બતાવ્યા છે, ખોટાં પ્રલોભનો આપ્યાં છે એટલે જ અમે મુંઝારાના મહેલ વચ્ચે સોડ તાણીને સૂવાનું સ્વીકારી લીધું છે.

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીના જીવનની મુસીબતો સામે બાથ ભીડવાની લાચારીનું, અન્યાય સહેવાનું ને અરમાનોને કચડી નાખવાનું આ કાવ્ય એક આમ સ્રીની સદાકાળની મનોભાવનાને લઇને રચાયું છે.. અલબત્ત ક્યાંક હવે સૂરજ ઊગતો જાય છે. ભલે થોડા વિસ્તારમાં પણ હવે સ્ત્રી માટે નવો યુગ આવતો જાય છે, નવો સૂર્ય એના કિરણો પાથરતો જાય છે એનીયે નોંધ લેવી રહી. જૂના સમયમાં પણ હિંમતથી લડનારી, એકલે હાથે ઝઝુમનારી સ્ત્રીઓ હતી જ…

હવે જરૂરત છે, સ્ત્રીએ જ સ્ત્રીને ઓળખવાની.. પોતાની જાતને લેશમાત્ર પણ ઓછી નહીં આંકવાની.. પોતાના અસ્તિત્વને માટે સંઘર્ષ કરવાની… પરિસ્થિતિ એ વગર ક્યાંથી બદલાશે ? આપણે નિરદા સુરેશની એક અંગ્રેજી કવિતાનો અનુવાદ જોઇએ જેમાં પોતાની લાચારીનો સ્વીકાર તો છે જ, પણ આખરે પોતાના સ્વમાનનો, આત્મસમ્માનનો એક હુંકાર પણ…

સ્વપરિચય

હું છું

એક સામાન્ય સ્ત્રી

મારી સર્જકતા બંધાયેલી છે

ઘર અને બાળકો સાથે

જાજમ અને મૂલ્યવાન વસ્તુઓ પાસે પાસે ગોઠવવી

પુસ્તકોને લેબલ લગાવવાં, બૂટની દોરીઓ બાંધવી

મારી સંવેદનશીલતા’

સહે છે મૌન ફટકાઓ અને

એક દાયકાના સાથ સંગાથને પરિણામે

કાચબાની પીઠ જેવી કઠણ થતી જાય છે.

મારો આત્મા સપડાતો જાય છે

ફફડાવે છે પોતાને મૌનમાં.

મારી સામાન્યતા

મને ઘર અને બાળકો સાથે

બાંધી રાખવાની, એમને અસામાન્ય બનાવવાની કદાચ

સગવડભરી સાંકળ છે.

થોડાં ઉદાસ સૂકાં આંસુઓના ભોગે

જે કદાચ હિંમત કરી બેસે તોડીફોડી નાખવાની ……. નીરદા સુરેશ  (અનુ. ગ્રંથિન)

 

પ્રફુલ્લા વોરાની એક ગઝલ પણ અહીં પ્રસ્તુત છે.

રેતીની દરિયામાં ફૂલોની નાવ લઇને દોડું છું

કોઇ અચરજ જેવા માણસનો દેખાવ લઇને દોડું છું.

છે ભીડ અહીં એકલતાની ને શહેર દીસે સન્નાટાનું

ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું.

કોઇ પંખી માફક પાંખ લઇ ઊડીને જાવું ક્યાં સુધી ?

હું સાવ ગબડતા મારગનો ઢોળાવ લઇને દોડું છું.

આ રેશમિયા સંબંધોનો વ્યવહાર મને મંજૂર નથી,

બસ, અંગત અંગત પથ્થરિયો ઘેરાવ લઇને દોડું છું.

મનગમતા રંગોને બદલે આંખોમાં ઊગી ગ્યાથોર પછી

જખ્મોથી છલકતા લોહી તણો ઘેરાવ લઇને દોડું છું.

 

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 2 એપ્રિલ 2013

કાવ્યસેતુ – 80  નીલમ દોશી

ગાડી ચાલી રહી છે.

માઇલોના માઇલો પસાર થાય છે..

મારી પણ ભીતર….

જો કે આગળને બદલે પાછળ..

રીવર્સમાં..

અને…

પહોંચું છું

એક સાંકડી ધૂળિયા શેરીમાં…

પડઘાય છે..

વિસરાયેલ એક અવાજ…

ડોકાય છે બે નયન

મારી પાંપણે છવાય છે

ઝીણું..સાવ ઝીણું

ઝાકળનું એક ચાંદરણું…. નીલમ દોશી

‘માઇલોના માઇલો પસાર થાય છે મારી પણ ભીતર’ વાંચીએ અને કવિ શ્રી ઉમાશંકર જોશી યાદ આવ્યા વગર ન રહે.. કદાચ એટલે જ કવયિત્રીએ ‘’મારી પણ ભીતર’ વાપર્યું છે. પ્રત્યેક સંવેદનશીલ વ્યક્તિની આવી અનુભુતિ હોય જ… આવી યાત્રા ચાલતી જ રહેવાની, ક્યારેક આગળ તો ક્યારેક પાછળ….. માઇલોની આ યાત્રા ક્યારેક સુખમાં તો કદીક દુખમાં યે ડુબાડે.. અને જો એ ઉર્ધ્વગતિની હોય તો પછી સુખદુખથી પર ….. એ પરમ ચેતનાના સ્તર તરફ જવાની વાત થઇ…

અહીં કવયિત્રીની યાત્રા પાછળ જાય છે, પૂરા આત્મવિશ્વાસથી એ ‘રિવર્સ’ શબ્દ વાપરે છે. ભૂતકાળની સ્મૃતિઓ એક ખુલ્લી આંખના સપનાંની જેમ નજર આગળથી પસાર થાય છે, જ્યાં છે એક નાનકડું ગામ, કેમ કે ‘સાંકડી ધૂળિયા શેરી’ નાના ગામનું પ્રતિક છે. એ કદાચ એમનું વતન હોઇ શકે. અથવા એવી જગ્યા કે જ્યાંની મીઠી સ્મૃતિઓ હજી એમના મનમાં સંઘરાયેલી છે. સમય સાથે એની વિસ્મૃતિ નથી થઇ. આ ગામની ધૂળિયા શેરી એમને યાદ આવે છે, આ શેરી એમની બાળપણની સાથીદાર હોઇ શકે, યૌવનની મસ્તીની ભાગીદાર હોઇ શકે…. ગામની સાંકડી, ધૂળભરી શેરીઓ ને એમાં મોકળા મનવાળા ચોખ્ખા હૃદયવાળા લોક… કદાચ કવયિત્રીને આ જ કહેવું છે…

અહીં એમના મનમાં એક અવાજ પડઘાય છે, એ લખે છે ‘વિસરાયેલ અવાજ’ પરંતુ હકીકતમાં એ વિસરાયેલ ક્યાં છે ? એ તો સ્મૃતિમાં પૂરેપૂરો સંઘરાયેલ છે એટલે તો અંદરની યાત્રામાં એ અચાનક મનમાં પડઘાઇ ઊઠે છે. અવાજની સાથે બે નયન પણ ડોકાય છે. અને એક ચહેરો, એક વ્યક્તિ એમની સામે તાદૃશ્ય થાય છે. ભૂતકાળ જીવંત થઇ છાતીમાં સળવળી ઊઠે છે. એ કોણ છે ? કોઇ ખોવાયેલ સાથીદાર ? કોઇ બાળપણની દોસ્તી ? કોઇ ચૂકી જવાયેલો સંબંધ ? જે હોય તે પણ વાત એની યાદની છે. એની યાદ જગાવે છે ઝાકળનું એક ઝીણું ચાંદરણું…. આ યાત્રાની બસ આ જ મજાની ફલશ્રુતિ છે. કવયિત્રીએ નાનકડા સુખને ચાંદરણાના પ્રકાશના પ્રતિક દ્વારા અને નાનકડા દુખને ઝાકળના ભેજની ભીનાશના પ્રતિક દ્વારા હળવેકથી અને પૂરી સ્વસ્થતાથી ખોલી નાખ્યાં છે.

આ વાતને જરા બીજી રીતે જોઇએ તો માઇલોના માઇલોની અંતર્યાત્રાના પથમાં પણ જો નાનકડા ચાંદરણાની, એક નાનકડા પ્રકાશપૂંજની અનુભૂતિ થઇ જાય તો પછી હૃદય ઝાકળની ભીનાશથી સદાય ભર્યું રહે…. અથવા બીજી રીતે, હૃદયમાં જ્યારે સ્નેહના ઝાકળની ભીનાશ છવાય ત્યારે આંખ સામે ચેતનાના પ્રકાશ સિવાય બીજું કશું જ ન હોઇ શકે…

કાવ્યસેતુ 79 > દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 26 માર્ચ 2013

રહીએ,  જેમ તમે  જી ! રાખો !

કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !

વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું  દેવ

પૂછી  બીડું  પલક, ખીંટીએ  ટાંગુ  સઘળી   ટેવ

ત્યાં જ  ઉડીએ , જ્યાં  ઉડાડે તમે દીધેલી પાંખો !

રહીએ,  જેમ તમે  જી ! રાખો !

મેં  ક્યાં  માંગ્યું ? સોને-રૂપે  માંઝી  દો  મનસૂબા

ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા

ધૂળધફોયા  ખોળે  જરાંક, અમી  નઝર તો  નાખો !

રહીએ,  જેમ તમે  જી ! રાખો ! …… સંજુ વાળા

અત્યંત ભાવપૂર્ણ ભાષામાં, એક સ્ત્રીની પોતાના પતિને વિનવણીઓ કરે છે. શરૂઆતના શબ્દો મીરાંબાઇની યાદ અપાવી દે, ‘મને ચાકર રાખો જી’ અલબત્ત એ શુદ્ધ ભક્તિની વાત હતી અહીં પતિ/પ્રિયતમને પ્રથમ મનાવવાની વાત છે. એ કઠોર અબોલા લઇને બેઠો છે, એ નઠોર નારાજ થઇને બેઠો છે, એને તલભાર પણ પરવા નથી પોતાની સ્ત્રીની એટલે જ એને આટલી બધી વિનવણીઓ કરવી પડે છે. કહે છે, જેમ તમે રાખો એમ જ હું રહીશ. મને બીજા કોઇ અભરખા નથી. બસ તમે થોડું ડહાપણ દાખવી આ અબોલા છોડો !!

નાયિકા વ્રત, બાધા, આખડી બધું જ છોડી દેવાની વાત કરે છે. કહે છે, મારે કોઇ દેવ-દેવીયે પૂજવા નથી. સાવ પોતાનું અસ્તિત્વ ઓગાળીને કહે છે, તમે કહો તો પલક પણ તમને જ પૂછીને ઝપકાવું !! મારી બધી ટેવોને ટાંગી દઉં ખીંટીએ !! તમે આપેલી પાંખો અને એનાથી તમે કહો ત્યાં જ ઊડીએ !! એમ કરતાંય તમે રાજી થતા હો તો !! એમ કરતાંયે તમે અબોલા છોડતા હો તો !!

સ્ત્રીઓને સોના-રૂપાના ઘરેણાંની કેટલી હોંશ હોય છે !! મારે તો વ્હાલમજી એય નથી જોઇતા. અરે !! ઝળઝળિયાં દ્યો તોય મારે મન રતનથી છલોછલ કૂબા છે…. અહીં સુધી વાત પતિને મનાવતી પત્નીની લાગે છે. રિસાયેલા પ્રિયતમના અબોલા છોડાવવા મથતી સ્ત્રી અનુભવાય છે. પણ મૂળ વાત આ બધા પછી આવે છે…નાયિકા કહે છે, મારો આ ખોળો સૂનો છે. એને ધૂળથી ભરેલી પગલીઓથી ભરી મૂકનાર મારે જોઇએ છે. જરાક તો અમી નજર નાખો !! માતૃત્વની ઝંખનાથી ભર્યું ભર્યું આ ગીત કોઇ પણ ખાલી ખોળો ધરાવતી સ્ત્રીના મનને રણઝણાવી જાય. અહીં રાંદલમાનું ‘લીંપ્યું ને ગુંપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને રન્નાદે, વાંઝિયામેણાં મારે દોહ્યલાં રે….ધોયોધફોયો મારો સાડલો, ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે, વાંઝિયા મેણાં મારે દોહ્યલાં રે…’ યાદ આવ્યા વગર ન રહે…

બાળકને ઝંખતી સ્ત્રી શું શું કરી શકે એનું સરસ મજાનું આમાં ચિત્રણ છે. આમ આ શબ્દો પતિને ઉદ્દેશીને કહેવાયા હોય એમ લાગે છે પણ કેમ કે એ અબોલા લઇને બેઠો છે. કહે છે ને ‘કાં અબોલા અમથી આવા ?’ પણ બાળકની ખોટ રાખનાર ઇશ્વરને પણ આ કહી શકાય. આખુંયે ગીત એકદમ સરળ શબ્દોમાં સ્ત્રીના મનોભાવોનું સુંદર ચિત્રણ આપે છે. એના હૃદયની ઝંખના ઉત્કટ રીતે વ્યક્ત કરે છે અને આ ઉત્કટતા જ કાવ્યને ઉત્તમ કક્ષામાં મૂકી આપે છે. અહીં પતિને સંપૂર્ણ સમર્પિત સ્રીની વાત છે. એમના બીજા એક કાવ્યમાં આપણે કૃષ્ણને સમર્પિત મીરાંની છબિ નિહાળીએ…

તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

એક કામળી, એક બાંસુરી, હૃદયે એક જ નામ
તન મેવાડે, મન જઈ મ્હાલે, મોરપિંચ્છને ધામ
પ્રીત પારખી, પ્રીતમ સીધ્ધો રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

મરુભોમની મુઠ્ઠી ધૂલિ, ભઈ અસુંવનની ભાષા
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી, જેની ઊંચી શાખા
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બહુ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

  

         

કાવ્યસેતુ – 78  દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 26 માર્ચ 2013

લખ્યા વિનાનો સાવ કોરો સફેદ કાગળ

આંખ સામે આવ્યો ત્યારે

આંખ બે ક્ષણ તાકી રહી એને જ

એમાં નહીં લખાયેલા શબ્દો

કાળી શાહીથી લિપિબદ્ધ થતાં થતાં

ધીરે ધીરે તાદૃશ બન્યાં

પળવારમાં ઉપસી આવી ભરચક શબ્દોની ભીડ

આંખ વધુ સ્થિર બની ઉકેલવા મથે

ત્યાં જ પાંપણ પર આવીને અટકી ગયેલું આંસુ

બધાં જ અર્થઘટનોને બહાર અટકાવી દઇને

ભીતર પ્રવેશ આપે

ઓગળી ઓગળીને આર્દ્ર બનેલી

કાગળની નરી સફેદીને

એનું સફેદ હોવું એટલે શું

આંખોને એ સમજાય એ પહેલાં તો

આંસુએ એની બધી ભીનાશ ટપકાવી દીધી….. સુસ્મિતા જોષી

કોરો કાગળ, એના પર નહીં લખાયેલા શબ્દોની ભીડ ને એમાં ફરી ફરીને ઓગળી જતી નરી સફેદીની આ કથા-વ્યથા એક આખોય ભૂતકાળ તાદૃશ્ય કરે છે. કાગળમાં દેખીતી રીતે કશું જ નથી પણ જેવો સામે આવે છે કે આંખ બે ક્ષણ એને તાકી રહે છે ને એમાં એક પછી એક શબ્દો કાળી શાહીથી લીપિબદ્ધ થવા માંડે છે. વાત કદાચ દુખની છે, પીડાની છે એટલે નાયિકા કાળી શાહીનો પ્રયોગ કરે છે. શબ્દો જ નહીં શબ્દોની આખી ભીડ ભરાઇ જાય છે. વાત ઓછી પળ બે પળની છે !! સ્મૃતિમાં કંઇ કેટલુંય ભંડારાયેલું છે અને આજે એ બધું જ દરિયો થઇ ઓગળવા માંડ્યું છે. આંખ એને સ્થિર થઇ ઉકેલવા મથે, એનો અર્થ સમજવા બેસે એ પહેલાં પાંપણ પરનું આંસુ પહેરેદાર થઇને બધા જ અર્થઘટનોની આલબેલને બહાર જ અટકાવી દે છે. શબ્દો ઠેરના ઠેર છે અને કાગળમાં પથરાયેલી નરી સફેદી, નરી શૂન્યતાને એ નાનકડું આંસુ ભીતર પ્રવેશ આપી દે છે. પછી આંખો માત્ર માધ્યમ બની રહે છે, આંસુ એ સફેદીની પીડાનો દરિયો બસ ઠલવી જ દે છે…

જીવન ઉદાસીથી છલોછલ છે. આંખ સામે જે આવે છે તે સૂકું અને બરડ છે. સંબંધોમાં સહેજ પણ કુમાશ બચી નથી. બધું જ કોરું કટાક છે. એટલે જ નાયિકાને કોરા કાગળનું પ્રતિક સૂઝ્યું હશે. એક સમય એવો હશે જે જ્યારે  સંબંધોના વસ્ત્ર ભીનાશથી ભર્યાં હશે, એકમેકના હાથમાંથી રંગીન સંવાદો ભર્યા, લાગણીની ખુશ્બુથી તરબતર પત્રોની આપલે થતી હશે. મીઠા ઉજાગરાની મીઠી મોસમના દિવસો રોમેરોમ ઉન્માદ જગાવતા હશે. હવે કદાચ આ બધું જ ખોવાઇ ગયું છે. સંબંધોની ભૂમિ સૂકી, ઉજ્જડ, વેરાન થઇ ગઇ છે અને રહ્યા છે માત્ર અવશેષો. ભૂતકાળની પીડા, ભૂતકાળની દુખદાયક સ્મૃતિઓનું આ કાવ્ય છે.. નાયિકા હવે એ બધું પ્રમાણમાં ભૂલી ચૂકી છે કે ભૂલવા મથે છે પણ એમ કંઇ ભૂલ્યું ભૂલાતું નથી. કદીક એ આંધીની જેમ ઊતરે છે અને વાવાઝોડાની જેમ મનને હલબલાવી જાય છે… પછી આંસુ સિવાય કોઇ સધિયારો બચતો નથી..

મને અહીં કવિ શ્રી ભગવતીકુમાર શર્માનું ગીત યાદ આવે છે.

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કંઇ નહીં

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કંઇ નહીં

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાકરટાક  બધાં નળિયાં

સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઉજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ એવું કંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘુર બોલાશ સંભળાવે નહીં

મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં

આછા ઘેરાઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ એવું કંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી

કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી

કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ એવું કંઇ નહીં !……….

 

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 55 other followers