દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 14 મે 2013
ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં -
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ? – આશા ગોસ્વામી
પ્રેમ પામવાની અત્યંત ઉત્કટ, સીમાડાઓ તોડી ગાંડીતૂર બનીને વહેતી ઇચ્છા આ કાવ્યમાં સાદા સીધા શબ્દોમાં પણ તારસ્વરે અનુભવાય છે. જ્યારે હૈયું તરસથી છલકાય છે ત્યારે પ્રેમ પામવા સ્ત્રી કંઇપણ કરી શકે. કેટલા સુંદર પ્રતીકોથી અહીં અભિવ્યક્તિ થઇ છે !! તમે કહો તો મીણબત્તીથી સૂરજ સળગાવી દઉં, સોયદોરાથી આભને થીગડું મારી દઉં, સમયની બધી જ મર્યાદાઓ તોડીને સરિતાની જેમ ગાંડીતૂર બનીને છલકાઉં, સાગર ઉલેચીને ખીણો સર્જું, પર્વતો તોડીને ખીણો રચું ને એમાં મારા આંસુના સાગર છલકાવું…. પણ પછી તો ઇશ્વર તમે મને પ્રેમ કરશો ને ? કવિએ બધું જ કહ્યું છે.. પ્રેમ પામવા એ કંઇપણ કરવા તૈયાર છે. આ વાત જાણે હવે એના જીવન-મરણનો ખેલ હોય એટલી ઉત્કટતાથી રજૂ થઇ છે. કવિતામાં રચાયેલા પ્રતીકો બધું જ વ્યક્ત કરે છે, ભાવજગત અને દેહજગત… પણ આખરી ધ્યેય એનું એક જ છે, પ્રેમ, પ્રેમ એ પ્રેમ….ઝરણું નહીં, ધોધમાં ભીંજાવું છે. બે-ચાર ઘૂંટ નહીં, આકંઠ પાન કરવું છે…
અહીં વાત ઇશ્વર માટે હોઇ શકે અને પોતાના ઇશ્વર માટે પણ હોઇ શકે. વાત કોના માટે કહેવાઇ છે એ મહત્વનું નથી, એમાં કેટલી તીવ્રતા છવાઇ છે એ મહત્વનું છે અને આ તીવ્રતા ચોક્કસ ભાવકને હલબલાવી જાય છે !!
સ્ત્રી અને પુરુષ વચ્ચે આ જ તફાવત છે. સ્ત્રી પ્રેમ પામવા કંઇપણ કરવા તૈયાર હોય છે અને એ અજંપો એને દેહ ધરી દેવા સુધી પણ લઇ જાય છે. કદાચ સેક્સ એની મંઝિલ નથી. એની મંઝિલ પ્રેમ અને પ્રેમ જ છે જેનો અનેકવાર લાભ પણ ઉઠાવાતો રહ્યો છે કેમ કે સેક્સ એ પુરુષની પહેલી જરૂરિયાત છે. અને સ્ત્રીને એની ખબર પડે છે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે..
આ કાવ્ય જગન્નિયંતા ઇશ્વરને સંબોધીને લખાયું હોય તોયે એની ઉત્કટતા સ્પર્શી જાય એવી છે. અને એવી હોવી જ ઘટે. એમાં મીરાંની લગન અને નરસિંહની વ્યાકુળતા પ્રગટે નહીં તો આખી વાત ફોક જાય…
સીધા સાદા શબ્દોમાં અત્યંત સરળતાથી અને છતાં અત્યંત ઉત્કટતાથી વ્યક્ત થતા આ શબ્દોમાં એવી કલામય અભિવ્યક્તિ છે કે જે ભાવકને વિચરતા અને વિચારતા કરી મૂકે છે અને આ જ કવિતા કલા છે.
અહીં સંત કબીરના શબ્દો પણ યાદ આવે
તલફે બિન બાલમ મોર જીયા
દિન નહીં ચૈન રાત નહીં નિંદિયા
તલફ તલફ કે ભોર કિયા
તનમન મોર રંહટ અસ ડૌલે
સૂન સેજ પર જનમ છિયા
નૈન થકિત ભયે પંથ ન સૂઝૈ
સાંઇ બેદરદી સુધ ન લિયા
કહત કબીર સુનો ભાઇ સાધો
હશે પીર દુખ જોર કિયા
પ્રતિભાવો