Posted by: readsetu | મે 29, 2012

ગૃહિણી સુખી છે

દિવ્ય ભાસ્કર > મધુરિમા > 22 મે 2012

કાવ્યસેતુ 36 લતા હિરાણી

 

ગૃહિણી સુખી છે

એના હોઠ પર તરતું રહે છે સ્મિત

ગાઇ બજાવીને કહે છે કોઇ જો કડવાં વચન

ગૃહિણી ખોટું નથી લગાડતી

ફક્ત માથું નમાવી દે છે

ગૃહિણીને ભૂખ ઓછી લાગે છે

થાકતી નથી એ કોઇ દિવસ

વહેલી સવારે જ્યારે દુનિયા ગાઢ નિંદ્રામાં હોય છે

ત્યારે એના સ્વપ્નામાં આવે છે ઝાડુ

ગૃહિણી સ્વપ્નામાં પણ ઝાડુ કાઢતી રહે છે

ગૃહિણીને કોઇ જ્યારે પૂછે છે

તે કેમ છે, કેવો છે ઘર-સંસાર

ત્યારે ગૃહિણી કહે છે, સારા છે બધા

બહુ ધ્યાન રાખે છે મારું

આમ કહીને ભાગે છે ગૃહિણી

મોઢું દબાવીને નળ તરફ

મોં ધોઇને ગૃહિણી જ્યારે પાછી આવે છે

ત્યારે એના હોઠ પર તરતું રહે છે સ્મિત

ગૃહિણી બહુ સુખી છે

માત્ર નળ તરફ દિવસમાં ઘણી વાર જાય છે….. વિનોદ દાસ અનુવાદ સુશી દલાલ

 

ગૃહિણી, ગૃહલક્ષ્મી, ઘરની શોભા કેવાં મજાનાં વિશેષણો લગાડ્યાં છે આપણે ઘરની સ્ત્રી માટે !! આ આપણા સંસ્કાર છે, રીતરિવાજ છે, પરમ્પરા છે અને એનું આપણને ગૌરવ છે અને હોવું જોઇએ. પણ વાસ્તવિકતા શું છે ? ભારતની મોટા ભાગની મધ્યમવર્ગીય ગૃહિણીની આ હાલત છે જે ઉપરના ગદ્યકાવ્યમાં વર્ણવાયેલી છે. ગદ્યકાવ્યની વિશેષતા એ છે કે એકદમ સરળ અને સહજતાથી વહ્યે જતી વાતને અંતે એવી ચોટ છોડી દે કે ભાવક ઘડીભર ખળભળી ઊઠે !!

એક સ્ત્રી એટલે કે એક ગૃહિણી વહેલી સવારે ઊઠીને કામે ચડે, આખા ઘરની તમામ જવાબદારીઓ એને માથે ખડકાયેલી હોય અને એનો બોજો એ ઘરથી બહાર જાય ત્યારે પણ ન જ ઊતરે એ લગભગ એના શ્વાસ ચાલે ત્યાં સુધીની વાસ્તવિકતા હોય એ વાત આપણે બધાં જાણીએ છીએ. ઘરમાં કોઇ એને કડવાં વચન કહે તો એ ખોટું નથી લગાડતી કેમ કે ઘરની સુખશાંતિ એણે એકલીએ જાળવવાની હોય છે. એ ડહોળાય તો સ્વાભાવિક રીતે જ વાંક એનો ગણવામાં આવે છે તો ચૂપ કેમ ન રહેવું ? મહેમાન આવે તો સરભરાનો ભાર એનો છે. અંદર ભલેને ઝંઝાવાત ફૂંકાતા હોય, ટ્રેમાં પાણીના ગ્લાસ સાથે એણે હસતે મુખે જ હાજર થવાનું છે !! એના સ્મિત નીચે કેટકેટલી વેદનાઓ ને કેટલીયે મૂંઝવણો ધરબાયેલી છે !!

 

એ છેલ્લે જમે છે એટલે કંઇ ખૂટે તો જે છે એનાથી ચલાવી લેવાનું અથવા મને ભૂખ નથીનો ઓડકાર ખાઇ લેવાનો !! કોઇ આવેશ કે હલચલ વગર, કોઇ નકાર કે બુલંદીના પડઘા વગર, કોઇ રૂપક કે અલંકાર વગર એકદમ સીધીસાદી રીતે તદ્દન સામાન્ય ભાષામાં ગૃહિણીની જીવનચર્યા અહીં વર્ણવાય છે. થોડી પંક્તિઓ વાંચ્યા પછી એમ પણ થાય કે આમાં નવું શું છે ?  વાત અહીં સુધી જ હોત તો ચાલત પણ આ નજરે દેખાતી વાસ્તવિકતાના પડદા પાછળ એક કડવું ને વસમું સત્ય કાળાધબ્બ ચહેરે પડછાયા કરે છે, મુંગું મુંગું પડઘાયા કરે છે અને એ છે ગૃહિણીનું દિવસમાં અનેક વાર નળ તરફ જવું…..

ગૃહિણી બહુ સુખી છે

માત્ર નળ તરફ દિવસમાં ઘણી વાર જાય છે…..

આટલા શબ્દોમાં ન કહેવાયેલું બધું ઠલવાઇ જાય છે. એક ભારતીય મધ્યમવર્ગીય નારીની વાસ્તવિક જિંદગીનો ચિતાર રજૂ થઇ જાય છે. એ ઘરમાં રહે છે, કુટુંબમાં રહે છે પણ એની વહારે ધાનાર કોઇ હોય તો તે છે નળ !! તે કેમ છે અને તેનો ઘરસંસાર કેવો ચાલે છે એ પૂછનાર તો પોતાનાં જ છે… પણ એની પાસે સચ્ચાઇનો પડદો ખોલી શકાતો નથી. કદાચ રૂદનના રેલા એટલે જ ઊભરાય છે. પોતાની વ્યથા કહી કોને દુખી કરવા ? માતા-પિતાને ? ભાઇ બહેનને ? સખીને ? ના રે.. અને ત્યારે દબાવેલ ડુસ્કું અને સંતાડેલ આંસુના મારગ મોકળા કરવામાં એની વહારે ધાય છે આ નળ !! નળ તરફ જવામાં સામે ઊભેલી વ્યક્તિ તરફ પૂંઠ ફેરવી શકાય છે, ચહેરો સંતાડી શકાય છે. વળી નળના વહેતા પાણી સાથે બધું વહી જાય એ જુદું !!

અલબત્ત આ કાવ્યના બે પાસાં છે. આ વાત આપણી છે અને આપણી નથી. સ્ત્રીસ્વાતંત્ર્યના વાયરા સાથે શહેરની સ્ત્રીઓ જ નહીં, ગામડાંની સ્ત્રીઓય ઘણીવાર બહુ બળુકી નજરે પડે છે ખરી… એક ચોક્કસ વર્ગ છે જેને આ કાવ્ય વાંચતા અવાસ્તવિકતા પણ અનુભવાય. પણ તમે જ કહો, આજકાલની સિરીયલોમાં દર્શાવાતી સાસુ-વહુ આવા ચારેકોર પથરાયેલા વર્ગનું પ્રતિનિધિત્વ નથી કરતી ? હા, એ સિરીયલ છે એટલે એના નિર્માતા વહુને ઊંઘમાંયે શણગાર સજેલી અને મેકઅપ કરેલી ભલે બતાવે પણ સાસુનો રોફ અને દાબ કે નણંદ, દિયર, પતિના પ્રતાપ ઘટ્યાં છે ખરાં ? જવાબમાં મોટેભાગે ના જ આવે અને એ મૂળવાત હજીયે જીવાતા જીવનની છે.. કવિ કંઇ આકાશમાંથી નથી ટપકતો, કવિતાયે વાદળમાંથી નથી વરસતી… આંખ અને કાન ખુલ્લાં રાખીને આસપાસ ધબકતા જીવનને સંવેદનારા હૃદયના આ શબ્દો છે !! સ્મિત પાછળ છુપાયેલા આંસુને અને હાસ્ય પાછળ સંતાયેલા ડુસ્કાંને પીઠ પાછળથીયે જે જોઇ શકે છે, નળના પાણીના અવાજ કરતાં જે જુદા તારવી શકે છે એ હૈયાના આ શબ્દો છે. એટલે જ મારી તમારી નહીં તો યે કેટલીયે – હજારો લાખો જિંદગીનું આ સત્ય છે એ કબુલવું જ પડે !! આ કાવ્ય એક મોટા વર્ગનો આયનો છે એ સ્વીકારવું જ પડે !!  

Posted by: readsetu | મે 22, 2012

પાંદડાનું પડી જવું

દિવ્ય ભાસ્કર > મધુરિમા > 15 મે 2012

કાવ્યસેતુ 35  લતા હિરાણી 

 

 

પાંદડાનું પડી જવું

એ પાનખર નથી

વૃક્ષનો નિર્ણય છે

હવે નવું જીવન જીવવાનું.

વિલાતી કળી વચ્ચે વિલાઇ જવું

એ ભ્રમરનું મૃત્યુ નથી

એનો પ્રેમ છે હરપળ સાથે રહેવાનું.

સાગરનું તપીને વરાળ થવું બાષ્પીભવન નથી

સૂર્યની કોશિષ છે

સાગરને નભની સફર કરાવવાનું.

તારાનું ખરી પડવું

એ તેની ગફલત નથી

એની અંતિમ ઇચ્છા છે

પૃથ્વીનું કફન ઓઢવાનું.

વેરાન જંગલો વચ્ચે, ઊંચા બનીને ઊભવું

એ પર્વતનું ગૌરવ નથી

એની મજબૂરી છે

સાવ એકલા બનીને જીવવાનું.

તૃણ પરનું પાણી એ ઝાકળ નથી

એના આંસુ છે

શું નભને મારે ક્યારેય નહીં અડવાનું ?…… છાયા શાહ 

છાયા શાહનું આ ગદ્યકાવ્ય અનેક પ્રાકૃતિક પરિસ્થિતિઓને જરા જુદી દૃષ્ટિથી નિહાળે છે. ચારેબાજુ પૃથ્વી પર જે કંઇ ફેલાયેલું છે અને એના જે રૂઢ અર્થઘટનો માનવીના મનમાં ગોઠવાઇ ગયાં છે ત્યારે આ જુદો દૃષ્ટિકોણ આંખને અને મનને આકર્ષે છે. અહીં એક કવિનો, એક ચિંતકનો સ્વભાવ પ્રગટ થાય છે.

કવિતાની શરૂઆતમાં એટલે કે પ્રથમ છ લાઇન સુધી એક પોઝીટીવ એપ્રોચ પડઘાય છે. પ્રથમ બે પંક્તિ વાંચતાં જ મન પ્રસન્ન થઇ ગયું. પાંદડા ખરે એને પાનખર કહેવાય એ નાનું બાળક પણ જાણતું હોય. અહીં પાંદડાના ખરવામાં કવયિત્રીને વૃક્ષનો નવું જીવન જીવવાનો નિર્ણય દેખાય છે અને હું માનું છું કે આ શબ્દો વાચકના મન સુધીયે નવી કૂંપળની જેમ ફૂટશે. કળીની બન્ધ પાંખડીઓમાં ભ્રમરનું મૃત્યુ. આ ઘટનામાં ભ્રમરની ફૂલ સાથેની અખંડ પ્રીત, પુષ્પ સાથે જોડાયેલા રહેવાની એની અતૂટ ઇચ્છા પણ ભાવકને પ્રસન્ન કરી જાય. અને એવું જ સાગરના પાણીનું બાષ્પીભવન થવું. સૂર્ય અને સાગરની મીઠી મૈત્રી વાચકને સુહાની સફરની મોજ આપી દે છે…

હવે આખાયે કાવ્યનો પ્રવાહ બદલાય છે, મિજાજ બદલાય છે, ભાવ બદલાય છે. તારાનું ખરવું એની નિયતિ કે પ્રકૃતિ ન રહેતાં એનું પૃથ્વીના કફનમાં સમાવું બની જાય છે. જંગલોને વેરાન બતાવ્યાં છે અને એમાં એકલાં ઊભા રહેવું એ પર્વતની મજબૂરી દર્શાવાઇ છે. ઘાસ પર વેરાયેલી ઓસબુંદો, નિરાશાના આંસુ તરીકે વર્ણવાઇ છે. આમ પછીની છ પંક્તિઓમાં વેરાયેલી કલ્પના જબરી નિરાશા અને દુખ પ્રગટાવે છે. જાણે પર્વતની ટોચ પરથી ખીણમાં.. અડધું કાવ્ય સુખનું ને અડધું કાવ્ય દુખનું !!

એ હકીકત છે કે સુખ અને દુખ એ જીવનના અવિભાજ્ય અંગ છે. દિવસ છે તો રાત પણ છે અને પૂનમ પછી અમાસ છે જ. જીવનમાં હાસ્ય અને રૂદનનું સહઅસ્તિત્વ છે એમાં કોઇ અપવાદ નથી. તોયે આ કૃતિમાં આશા અને નિરાશા બન્ને સૂરની સંવાદિતા ચકાસવા જેવી ખરી. દરેક પંક્તિમાં વ્યક્ત થતી સંવેદનાનું મૂળ પ્રાકૃતિક ઘટનાઓ જ છે અને આ ઘટનાઓના અર્થઘટન ક્યાંક પોઝીટીવ અને ક્યાંક નેગેટીવ, એ એની એક કાવ્યકૃતિ તરીકેની મૂલવણીમાં નડે છે. અલબત્ત દરેકનો પોતપોતાનો અભિપ્રાય હોય કેમ કે એક નવી રચના જન્મ લે પછી એ સર્જકની નથી રહેતી. એ વાચકની બની જાય છે અને દરેક વાચક પોતાના અભિગમથી એને મૂલવે છે. એ રીતે આ કાવ્ય પોતે જ દરેક દૃષ્ટિબિંદુ સાથે સમતા સાધશે અને કૃતિને મોકળાશમાં વિહાર આપશે.

 

 

 

સાધના દિપોત્સવી 2010માં પ્રકાશિત

કેટલી જાણીતી આ ઉક્તિ છે !! મૂડી કરતાં વ્યાજ વહાલું. દાદા-દાદીને પોતાનાં સંતાનનાં સંતાનો એટલે કે પૌત્ર પૌત્રીઓ વધુ વહાલાં હોય. આ વાત દુનિયાનાં દરેક દાદા દાદીઓને લાગુ પડે છે. બાળકો તો આમ પણ વહાલાં લાગે, એમાંય પોતાનાં જ પોતરાં તો વિશેષ !! આમાં જરાક આડવાત એ ય કરી લઉં કે આપણા ગુજરાતીઓની માનસિકતા, કહેવતો કે રૂઢિપ્રયોગોમાં પણ કેવી વ્યક્ત થાય છે !! આપણી ભાષામાં પોતાનાં સંતાનોની બાબતમાં યે મૂડી અને વ્યાજ જેવાં નાણાંકીય શબ્દો પ્રયોજાય !! પણ જવા દો એ વાત. આપણે અહીં એની ચર્ચા કરવાની નથી.

આપણે વાત કરવાની છે દાદા-દાદીના, એમનાં પૌત્ર-પૌત્રી સાથેના સંબંધો વિશેની. બગીચામાં લટાર મારવા નીકળીએ અને કોઇ દાદાજી એમના નાનકડાં વ્યાજ સાથે રમતા હોય, પેલું બાળક એની ઉપર ચડી જતું હોય, બંન્ને ધીંગા મસ્તી કરતાં હોય, બાળક દાદાજીની મૂછો ખેંચતું હોય કે એને દોડીને હંફાવતું હોય એ દૃશ્ય મનને કેટલું પ્રસન્ન કરી દે છે !! જો કે આવાં દૃશ્યો દાદી સાથે ભાગ્યે જ જોવા મળે છે !!

વળી એક આડવાત. હમણાં મેં ન ગમે એવું દૃશ્ય પણ જોયું. બગીચામાં દાદા અને એના પૌત્રની રમત ચાલતી હતી. નાનકડો પૌત્ર હાથમાં સાંઠીકડું લઇને વારે વારે દાદાને શૂટ કરતો હતો. દાદા ખડખડાટ હસતાં હસતાં જમીન પર પડીને મરી જતાં હતાં !! ભલેને આ રમત હોય !! બાળકની સંવેદનશીલતાને વિકસાવવાની બાબતમાં કેટલી ભયંકર ?? તમારું ડહાપણ તમારી પાસે રાખો. એવું સાંભળવાના જોખમ સાથે પણ મેં જઇને એમને કહ્યું તો ખરૂં જ પણ આ બાબતમાં હવે જાગવાનો સમય નથી આવી ગયો ??

મારે મૂડી કરતાં વ્યાજ વહાલું એના કરતાં કંઇક જુદું ચિત્ર જોવા મળે છે એની વાત કરવી છે. હમણાં હમણાં એવું ઘણાં ઘરમાં જોવા મળે છે કે સાંભળવા મળે છે કે પોતાનાં પૌત્ર-પૌત્રી સાથેના દાદા-દાદીના વ્યવહારમાં ફેર પડી ગયો હોય. કહેવત તો ખોટી કેમ હોય ? વળી પોતાનાં સંતાનો સાથે એટલે કે દીકરા-વહુ સાથે કંઇક મતભેદ હોઇ શકે પરંતુ નાનાં બાળકો તો ખુશીનો ખજાનો જ હોય !! તો પછી આમ કેમ ?

જો આને એક સામાજીક સમસ્યા ગણીએ તો બદલાયેલાં સમય સાથે એનો વિચાર કરવો પડે. એટલે કે સમય બદલાય, એની સાથે સંબંધોના સ્વરૂપ પણ બદલાય છે !! માતા-પુત્રના, પિતા-પુત્રના અને દીકરા-વહુ સાથે માતા-પિતાના વ્યવહારમાં ઘણો બદલાવ આવી ગયો છે. એટલે જો દીકરા-વહુ સાથે મતભેદ કે મનભેદ હોય તો એના સંતાનો સાથેના વ્યવહારમાં થોડો ફેર કદાચ પડે ને કદાચ નયે પડે.

અહીં જે કહેવાનો મુદ્દો છે એ બીજો છે. માની લો કે મા-બાપ એટલે કે સાસુ-સસરા અને દીકરા-વહુ વચ્ચેના સંબંધો સારાં છે. એમની વચ્ચે મનદુખ નથી. ઘરમાં બધું સારી રીતે ગોઠવાયેલું છે. એમ છતાં દાદા-દાદી અને પૌત્ર-પૌત્રી વચ્ચે, જે પહેલાંના સમયમાં જોવા મળતી, એ નજદીકી નથી દેખાતી. એનું કારણ શું ?

પહેલું કારણ છે બાહ્ય. એક નાનાં બાળકને સંભાળવામાં મન અને શરીર એટલે કે હૃદય અને શારીરિક શક્તિ, બંનેની જરૂર પડે છે. એક મા પોતાનાં બાળકને ઉછેરે છે ત્યારે બાળક માટે હૃદય તો પૂરેપૂરું હોય જ પરંતુ શારીરિક રીતે પણ એ પૂરતી સક્ષમ હોય છે. દાદા-દાદી પાસે હૃદય ભરપૂર હોય તો પણ એમની શારીરિક તાકાત ઓછી પડે છે. આ બાબતે દાદા સાથે ઓછી પ્રતિકૂળતાઓ ઊભી થાય છે પરંતુ દાદી માટે આ મુદ્દો મહત્વનો બની જાય છે.

વય વધવાની સાથે શરીરની શક્તિઓ ઘટી હોય, નાની મોટી શારીરિક તકલીફો વધી હોય ત્યારે નાના બાળકને સંભાળવું અઘરું તો બને જ છે. આ મુશ્કેલી પહેલાંના સમયમાં ઓછી નડતી કારણ કે બાળકની મા ઘરમાં જ રહેતી એટલે બાળકને સાચવવા માટે જે શ્રમની જરૂર પડે એ માતા સંભાળી લેતી. વળી એની પાછળ દોડાદોડી કરવાની આવે ત્યાં પણ માતા કે ઘરનાં અન્ય સભ્યો હાજર હોય જ. દાદીના હિસ્સે બાળકને જમાડવું, રમાડવું, વાર્તાઓ કહેવી, ઊંઘાડવું વગેરે લાડનાં કાર્યો રહેતાં અને એમાંયે જ્યારે એની તબિયત નરમ-ગરમ હોય ત્યારે ખેંચાવાની જરૂર રહેતી નહિ.

એની સામે હવે જ્યાં મા-બાપ અને પુત્ર-પુત્રવધુ સાથે રહેતાં હોય ત્યાં પણ કુટુંબ નાનું તો થયું જ છે. વળી માતા નોકરી કરતી હોય કે કોઇ ને કોઇ વ્યવસાયમાં જોડાયેલી હોય એટલે એ સમય દરમિયાન એકલે હાથે બાળકને સંભાળવું ઘણું અઘરું પડી જાય. જો બાળકને સાચવવા માટે કોઇ ફૂલટાઇમ મદદની વ્યવસ્થા ન હોય તો પરિસ્થિતી મુશ્કેલ બની જાય છે. ઘણાં ઘરોમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. મનમાં ને મનમાં દોષ વડીલો પર નંખાય છે કે એમને પોતાનાં પોતરાં વહાલાં નથી અને એમનાં થાકને કે એમની શારીરિક મર્યાદાને બહુધા નજરઅંદાજ કરવામાં આવે છે.

બીજું કારણ છે આંતરિક. બદલાયેલા સમયની તાસીર એ પણ છે કે પોતાનાં સંતાનોના ઉછેરની બાબતમાં મા-બાપ પોતે જ સર્વ સત્તા ભોગવે છે. બાળક માટે શું કરવું, શું ન કરવું, કેમ કરવું, ક્યારે કરવું એમાં મોટેભાગે દાદા-દાદીની વાત સાંભળવામાં નથી આવતી. હવે આવું ન ચાલે કહીને કે બીજી રીતે, સરવાળે એમણે દખલ કરવાની હોતી નથી. આમ જુઓ તો બાળક માટે, વડીલોની જવાબદારી પૂરેપૂરી અને અધિકાર ખાસ કંઇ નહિ એવી પરિસ્થિતી પ્રવર્તે છે. પહેલાંના સમયમાં આવું નહોતું. ઘરમાં વડીલોનો બોલ અંતિમ ગણાતો. પોતાના બાળકની બાબતમાંયે દાદા-દાદીની સૂચનાનું જ પાલન કરવાનું રહેતું.

આ મુદ્દામાં કોની વાત સાચી કે કોની ખોટી એ પ્રશ્ન પછી આવે છે. એ અલગ અલગ સમસ્યામાં અલગ અલગ રીતે નક્કી કરવું પડે. કદીક વડીલો પણ ખોટાં હોઇ શકે છે. કદીક યુવાનો પણ. પરંતુ આવે વખતે મોટે ભાગે વિવેકનો અભાવ જોવા મળે છે. સમગ્ર વલણ જ એ રીતનું  હોય છે કે દાદા-દાદીએ ધીમે ધીમે દીકરા-વહુની ઇચ્છા સ્વીકારતાં શીખી જવું પડે અને પોતરાંની બાબતમાં તો ખાસ !! બાળકની બાબતમાં કે ઘરની અન્ય બાબતોમાં પણ માથું નહિ મારતાં વડીલોવાળા ઘરમાં જ શાંતિ હોય છે !!

વિશ્વમાં પ્રેમ અને અધિકાર બંન્ને સાથે જ ચાલે છે. આદર્શમાં ભલે એમ ન હોય પણ વ્યવહારમાં એને જુદાં પાડી શકાય નહિ. અધિકાર ન હોય કે ઓછો હોય તો મૂળ લાગણીમાં ભલે ફેર ન પડે પરંતુ વ્યવહારમાં એક્પ્રકારની ઉદાસીનતા જરૂર આવે છે. ઉમળકામાં જરૂર ફરક પડે છે. ઘરમાં વધુ રહેતાં અને વહુ સાથે જેને વધારે કામ પાડવાનું થાય એવાં દાદીને આ બાબત વધુ સ્પર્શે છે.

દરેક સામાજિક સંબંધ, એના પ્રશ્નો અને એનું નિરાકરણ આમાં ક્યાંય એક ફોર્મ્યુલા નક્કી ન થઇ શકે. એ વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી રીતે જોવાની બાબત છે પણ તોયે વિશેષ અને વ્યાપક રૂપે જોવા મળતી સમસ્યામાં કંઇક સમાન તત્વ તારવી શકાય ખરું. કંઇક અંશે સમાન નિરાકરણ પણ સુચવી શકાય ખરું.

અંતે કહેવાની વાત એ જ છે કે હવે જ્યારે સ્ત્રીઓ પણ પોતાની કારકિર્દી માટે એટલી જ સભાન બની છે, પોતાના વ્યવસાય માટે આગ્રહી બની છે, એટલી જ સફળતા પણ મેળવતી જાય છે વળી આર્થિક રીતે પણ આ બાબત જરૂરી બની ગઇ છે, જ્યારે બીજી બાજુ નોકરો કે અનિષ્ટ તત્વો દ્વારા નાનાં બાળકો સાથે થતાં દુર્વ્યવહાર ડગલે ને પગલે વધી રહ્યાં છે, ત્યારે સંયુક્ત કુટુંબની જરૂરિયાત પહેલાં કરતાં પણ અનેકગણી વધી ગઇ છે. વડીલો ખોટાં પણ હોઇ શકે પરંતુ વિવેક ચુક્યા વગર અને એમનું માન જાળવીને વર્તન કરવામાં આવે તો એમના લાંબા અનુભવોનો લાભ ખોવો ન પડે અને એક આખી ઉછરતી પેઢીની સુરક્ષા સો ગણી વધી જાય એમાં કોઇ શંકા નથી.

જી હાં, નવા વર્ષે વડીલોને વંદન કરવાનો ફક્ત ક્રમ ન જાળવતાં, પ્રણામની સાથે વ્યાજ તો વહાલું છે જ અને મૂડીયે મૂલ્યવાન છે એ ભાવની રંગોળી મનમાં જરૂર રચીએ તો કુટુંબ પરથી સુરક્ષાનો સૂર્ય કદી આથમશે નહિ.

 

Posted by: readsetu | મે 19, 2012

સ્પર્શ વિસ્તરે

સ્પર્શ વિસ્તરે 

પછી એમાં  

બધી ક્ષણો 

ડૂબે કે તરે……. લતા હિરાણી 

Posted by: readsetu | મે 15, 2012

ધુમાડા કાઢતી રિક્ષા

દિવ્ય ભાસ્કર > મધુરિમા > 8 મે 2012

કાવ્યસેતુ 34   લતા હિરાણી  

 

 

ધુમાડા કાઢતી રિક્ષા ઊભી રહી

ખાંસતા રિક્ષાચાલકને

ચુંથાયેલી નોટૉ આપી

થાકેલા ચહેરાવાળા ચીમળાયેલા મુસાફરો

બહાર નીકળ્યા

તે પછી સૌ ગયા

પોતપોતાના કંટાળાના રસ્તે

થાક, ખાંસી, રસ્તો, ધુમાડો ને સફરના

સંબંધો અને સંદર્ભોમાં ખોવાયેલી

ઊભી હતી હું હજુ મારી બારીમાં

ત્યાં

પાંચ વર્ષની પુત્રી

પાલવ પકડીને બોલી,

મમ્મી રિક્ષાની છત પર

ગુલમહોરની કેટલી બધી પાંખડીઓ હતી,

તેં જોઇ ?  …… સોનલ પરીખ 

સોનલ પરીખનું આ ગદ્યકાવ્ય છે. સવારથી સાંજ સુધી વીંટયેલી જીવનની એકવિધતામાં એની આસપાસ વેરાયેલી નાની નાની સુંદર ક્ષણો માણવાનું આપણે કેવા ચુકી જઇએ છીએ એની હળવેકથી પણ સ્પર્શી જાય એવી રજૂઆત કરે છે. આ સ્પર્શી જવાનું ખાસ એટલા માટેય કે એક નાનકડી બાળકી આંગળી પકડીને એ તરફ લઇ જાય છે. રોજિંદા વ્યવહારમાં ભલે મા એની દીકરીને આંગળી પકડીને લઇ જતી હોય પણ અહીં દીકરી મમ્મીને દોરે છે, આંગળી પકડીને લઇ જાય છે એની ઉંમર જેવી અને જેટલી જ નાની, નમણી, નાજુક સુન્દરતા તરફ… જે જોવાનું આપણે મોટાભાગે ચૂકી જતા હોઇએ છીએ.

મમ્મીની આંખમાં ઘરની બારીમાંથી દૃશ્ય ઝીલાય છે. રિક્ષા આવીને ઊભી રહી. માત્ર રિક્ષા જ નહીં એનો ધુમાડો, ખાંસતો રિક્ષાચાલક અને ચુંથાયેલી નોટો આપતા થાકેલા ચીમળાયેલા મુસાફરો પણ દેખાય છે. આંખને આ જ બધું જોવાની ટેવ પડી છે. ગમતું નથી, અકળાવેય છે પણ દૃશ્ય આ જ દેખાય છે કેમ કે આ સિવાય બીજું પણ કંઇ જોવાનું હોય છે એ સમજ જ સુકાઇ ગઇ છે. કવિતા આગળ વધે છે. રિક્ષામાંથી નિકળેલા મુસાફરો પોતપોતાના રસ્તે જાય છે એમ કહેવાયું હોત તો એ સામાન્ય બાબત હોત. આમ પણ ગદ્યકાવ્ય છે એટલે બારીમાંથી દેખાતા દૃશ્યનું વર્ણન એક ચોકકસ ઢબે થાય છે પણ મુસાફરોને જવાની બાબતમાં કંઇક ચમકારો અનુભવાય છે.

મુસાફરો પોતપોતાના રસ્તે જ નહીં, પોતપોતાના કંટાળાના રસ્તે જાય છે. અહીં કંઇક ક્લીક થાય છે. રસ્તાને અને કંટાળાને ભલા શો સંબંધ ? રસ્તો તો નિર્જીવ છે. પણ કહેવાયેલી વાત કંઇક જુદી છે. અને એ છે જીવનમાં વણાયેલો, પરોવાયેલો કંટાળો.. જીવનનો રસ્તો જ એકધારો, રસહીન ને થકવનારો બન્યો છે. કોઇના ચહેરા પર હાસ્યની, આશાની રેખા સરખી નથી. જીવાતા જીવનનો બોજ વેંઢારીને સૌ ચાલ્યે જાય છે. કદાચ કઇ તરફ, એ પણ ખબર નથી અને આ કે આવી બધી વાતો બારીમાંથી બહાર જોઇ રહેલી સ્ત્રી, એક વ્યક્તિ વિચારી રહી છે. આમ જુઓ તો એ પણ કંઇક આમ જ પ્રોગ્રામ્ડ થઇ ગઇ છે, એક બીબામાં ફીટ થઇ ગઇ છે કેમ કે સામે શું જોવું કે પછી દેખાય છે એની પાછળ શું જોવું એય દરેકના ઉપર આધાર રાખે છે, એ દૃષ્ટિ છે !!

કહે છે ને કે દૃષ્ટિ એવી સૃષ્ટિ. અહીં માતાના મનમાં એકધારાપણાનો, રૂટિનનો ભાર ભરેલો છે. સ્ફૂર્તિ, તાજગી, ઉમંગ કે ઉલ્લાસ ગાયબ છે. નજર સામે જે દુનિયા દેખાય છે એ અમુક અંશે અંદરનુ જ પ્રતિબિંબ છે. પણ જીવનમાં માત્ર આટલું જ નથી. વહેલી સવારે પક્ષીઓ હજી કલરવ કરે છે. ઊગતા સૂર્યના કિરણો હજીયે ધરતી પર કુમાશ ને અજવાસ પાથરે છે. વૃક્ષો મ્હોરવાનું કે ફૂલો ખીલવવાનું ચુકતાં નથી જ.. જે ચુકી જવાય છે એ બસ એના તરફ ધ્યાન જવાનું. બાજુમાં ઊભી છે એની નાનકડી દીકરી જે હજુ આધિ,વ્યાધિ અને ઉપાધિથી જોજનો દૂર છે. રૂટિનની રફતાર તો એની આજુબાજુય ફરકી શકે એમ નથી. એ હજી હળવાશના, નિરાંતના અને વિસ્મયના જગતમાં જીવે છે એટલે જ એની નજર ધુમાડો કાઢતી રિક્ષા પર કે કંટાળતા મુસાફરો પર નહીં, રિક્ષાના છાપરા પર વેરાયેલી ગુલમહોરની કુમળી કુમળી પાંદડીઓ પર જાય છે અને પૂછી બેસે છે, મમ્મી, તેં એ જોઇ ? અને ત્યાં કવિતા પૂરી ઊઘડે છે.

 

 

 

 

 

Posted by: readsetu | મે 13, 2012

વહાલા દાદીમા

આ એક પત્ર છે. પૌત્રની કલમે પુત્રવધુએ દાદીમાને એટલે કે સાસુને લખેલો પત્ર..વાત છે સાસુ વહુની. આજની ટીવી સિરીયલોનો હોટ ફેવરીટ વિષય. ભારતમાંથી અનેક માતાઓ પુત્રીની કે પુત્રવધુની પ્રસુતિ માટે પરદેશ જતી હશે. એ નવું નથી. હું પણ એ જ રીતે ગઇ અને પૌત્ર જન્મનો પ્રસંગ મનાવી, ભારત પાછી આવી. થોડા સમય પછી મને મારી પુત્રવધુ હિના તરફથી એક પત્ર મળ્યો. અને મારા હૃદયને સભર કરી ગયો. હવે આ પત્ર આપના સુધી પહોંચાડું છું…….એના દ્વારા મારે પહોંચાડવી છે દૂર દૂર વસતી બે કે ત્રણ પેઢીઓ વચ્ચે વહેતી સંવેદના… દેશ પરદેશમાં વસતા ને વિસ્તરતા કુટુંબના મણકાઓ વચ્ચેનો સેતુ……. ભલેને સમૃધ્ધિ, સંપતિ અને સ્ટેટસ માટે માનવી હરણફાળ ભર્યે જાય પણ જો એની સંવેદના લીલીછમ્મ રહેશે, એનું હૃદય હુંફાળું રહેશે તો પૃથ્વી જીવવા જેવી સુંદર બની રહેશે…જે કંઇ મળે છે એના માટે કૃતજ્ઞતા gratitude  અનુભવવા જેટલી સંવેદનશીલ નવી પેઢી છે જ …… આકાશ ઘણું ઉજળું છે……  

 

 

 

વહાલા દાદીમા                                             

હું તમારા રુપિયાનું વ્યાજ. તમારા પ્રથમ વૃક્ષની પ્રથમ ડાળનું પ્રથમ પુષ્પ….અને આ મારો પ્રથમ પત્ર મારા દાદીમા અને દાદાજી માટે….. દાદીમા તમને લખવું ગમે છે એમ મને પણ લખવું ગમે છે.

દાદીમા, તમે અહીં સ્કોટલેંડ મારા માટે આવ્યા. હું આ દુનિયામાં પ્રવેશું ત્યારે તમારો મીઠો હાથ મારા પર ફરે અને મારા મમ્મી પપ્પાને હુંફ મળે એ માટે તમે અહીં રોકાયા. એ સમય દરમિયાન દાદાજીને તમારા વગર ઘણી તકલીફ પડી હશે.. પણ એમણે ચલાવી લીધું મારે ખાતર ! હું તમને બહુ વહાલો છું નહીં !!!

મારા જન્મની ઘડીઓ ગણાઇ રહી હતી અને મારી મમ્મીથી પીડા સહન નહોતી થતી ત્યારે તમારી આંખો છલકાઇ જતી હતી એ પપ્પાએ મને કહ્યું…. મારા જન્મ પછી મને જોઇને ખુશીથી તમારી આંખો છલકાઇ ગઇ એ મેં પોતે જોયું. દાદીમા આ પૃથ્વી પર આપણે પહેલી વાર મળતા હતા તો યે તમને કેટલું બધું વ્હાલ !! તમને એ દિવસ યાદ આવતો હશે જ્યારે મારા પપ્પાનો જન્મ થયો !!

ભારતથી દૂર છેક સ્કોટલેંડના એડિનબરો જેવા શહેરની હોસ્પિટલમાં, જ્યારે આજુબાજુની  બધી ગોરી મોમ્સને જમવામાં એના પાર્ટનરની લાવેલી બ્રેડ મળતી હતી ત્યારે મારી મમ્મી તમારો બનાવેલો ગરમ ગરમ શીરો ખાતી હતી..અને જમ્યા પછી વાવડીંગ નાખીને ઉકાળેલું પાકું પાણી તથા શેકેલા અજમાનો મુખવાસ… એ મમ્મી રોજ યાદ કરે છે. જો કે તમે જરા ઘી વધારે નાખતા હતા એવું એ કહે છે પણ સાથે સાથે એ ય કહે છે કે આપણા વડવાઓએ સદીઓથી જે પરંપરાઓ સ્થાપિત કરી છે એ અનુભવનું અમૃત છે. એટલે મમ્મી તમારી બધી વાત માનતી હતી. નાનીમાએ મોકલેલા કેટલાય વસાણાં, ભાવે કે ન ભાવે, મમ્મી ખાઇ લેતી હતી..

હોસ્પિટલમાંથી મને ઘરે લઇ જવાનો હતો. મને બાસ્કેટમાં મુકીને કાર સીટમાં ગોઠવવાની વાત તમને જરાય નહોતી ગમતી, પણ શું થાય ? આ દેશના કાયદા પ્રમાણે બાળકને ખોળામાં લઇને કારમાં ન બેસાય. પપ્પાની વાત સાચી છે. કાયદાનો ભંગ ન કરાય. અને તમારી લાગણી પણ એટલી જ સાચી કે આટલા નાના વહાલા બાળકને સામાનની જેમ ઓછું લઇ જવાય ? તમે રસ્તો કાઢ્યો. કારમાંથી ઉતરતાંવેંત તમે કારસીટમાંથી મને તેડી લીધો. બાસ્કેટ ફંગોળી દીધી. ઠંડી પુષ્કળ હતી પણ ઝૂલો બનીને વીંટળાયેલા તમારા બે  હાથની ઉષ્મા અને તમારા હૈયાની હુંફ અનુભવતો હું ઘરમાં પ્રવેશ્યો.

 

મેં તો મારું ઘર પહેલીવાર જોયું. ઉંબરે સ્વસ્તિક અને દરવાજે ફુગ્ગાઓ લગાવવાથી માંડીને તમે અને માસીમાએ ઘરને કેવું મજાનું શણગાર્યું હતું !! એ સમયે અહીં ફૂલોની મોસમ પૂરબહારમાં ખીલેલી હતી. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં ફૂલોનો દરિયો !! અને તમે એ ઘરમાં વહાવી દીધો હતો ત્યારે મને ખબર પડી કે તમને ફૂલો કેટલાં ગમે છે !! દાદીમા હું દરેક સમરમાં તમારી રાહ જોઇશ !!  એક વાત પુછું દાદીમા ? દાદાજી તમારા માટે ફૂલો લાવે છે ને ??

મને બીજી એક વાતની યે બહુ મજા પડી ગઇ. તમે guess કરો જોઇએ ?? શું હશે ?? તમે છેક ઇંડિયાથી મારા માટે ઘોડિયું લઇને આવ્યા હતા !! એમાં તમે મને હિંચોળતા હતા અને કેવા મજાના હાલરડા ગાતા હતા ??  મને હાલરડું સાંભળતા સાંભળતાં હિંચકવાની અને ઉંઘવાની બહુ મજા પડી ગઇ હતી. અને એમ તો દાદીમા હું ક્યારેક લુચ્ચાઇ પણ કરતો હતો !! હાલરડું સાંભળવા માટે કદીક ખોટું ખોટું રડતો હતો..!!. તમારા હાલરડા સાંભળીને સાંભળીને તો મને દાદાની, માસીની, કાકાની, કાકીની, નાનાની, નાનીની બધાની પાકી ઓળખાણ થઇ ગઇ હતી. મારે મોટા થઇને કેવા બનવાનું છે એ પણ તમે મને હાલરડામાં ગાઇને સંભળાવતા હતા……

તમારા ગયા પછી મમ્મીને એક્લાં કેટલું બધું કામ પહોંચતું હોય ?? પણ મને એવી ટેવ પડી ગઇ હતી કે હાલરડા વગર ઉંઘ જ ન આવે !! દાદીમા, મમ્મી પણ સરસ ગાય છે હોં કે !! હુલુલુલુ હાલરડું, આર્યનના માથે ચાંદરડું, ચાંદરડું કંઇ ચમકંતુ, દીકુનું મોઢું મલકંતુ… દાદીમા, તમે મારા પપ્પા માટે ક્યા હાલરડા ગાતા હતા ?? હવે હું ઇંડિયા આવું ત્યારે તમે મને એ હાલરડા ગાઇને સંભળાવશોને ?? અને બીજી વાત, તમે ગાવ ત્યારે ખોળામાં સુવાનો મારો  જ હક હોં કે !!! હા પપ્પાને તમારી પાસે વાળમાં તેલ માલિશ કરાવવાની છુટ…. મમ્મી એ પણ યાદ કરે છે કે મારા જન્મ પછી તમે એને નિયમિત બોડીમસાજ કરી આપતા હતા…. 

મારા જન્મ વખતે તમે એક કાવ્ય લખીને મારી મમ્મીને આપ્યું હતું તથા ભારત જતાં પહેલાં તમે મને પ્રેમભર્યા આશિર્વાદ આપતું એક લાંબુ કાવ્ય લખ્યું હતું ને ! એ બંને કાવ્ય મારા પપ્પાએ ફ્રેમમાં મઢાવીને ઘરમાં રાખ્યાં છે. તમને ખબર છે દાદીમા, મારી મમ્મી એ કવિતા રોજ વાંચે છે અને હરખાય છે. મારી મમ્મીનો ચહેરો જાણે પ્રભાતના ખીલેલા પુષ્પ પરના ઝાકળબિંદુ પર પ્રકાશનું કિરણ પડે અને એમાં અનેક રંગોની છાયા ખીલી ઉઠે, એવો થઇ જાય છે. કેવી લાગી મારી આ કાવ્યાત્મક વાત !! હું મોટો થઇશ ને ત્યારે તમને ઘણા પત્રો લખીશ. તમારી બધી કવિતાઓ વાંચીશ અને યસ દાદીમા, હું યે તમારી જેમ કવિતા લખીશ. પછી તમે કહેશો, અરે વાહ, મારો દિકરો તો મારા કરતાં યે ચડ્યો !!

દાદીમા, તમે દાદાજીને મારા તોફાનોની વાત કરી કે નહીં ?? મને ખોળામાં લે ત્યારે હું પપ્પા પર કેવો ફુવારો છોડતો હતો !! અને પપ્પા બૂમો મારતા હતા !!! મને પપ્પાને હેરાન કરવાની બહુ મજા પડે છે. એવું કેમ દાદીમા કે પપ્પા ખોળામાં લે ત્યારે જ મને સુસુ કે છીછી લાગે !!! સોરી હોં દાદીમા એમ તો મેં તમારો ખોળો ય કેટલી યે વાર પલાળ્યો છે !! મુળ વાત એ છે કે મારે કંઇક એવાં કારસ્તાન તો કરવા પડે કે જેથી તમે બધાને મારી વાતો કર્યા કરો  !!! અને મને ખબર છે તમને હું હર હાલમાં વહાલો જ લાગું છું !!

મને વહેલી સવારે જાગીને મમ્મી પપ્પાને સ્માઇલ આપવું બહુ ગમે. મને ભુખ લાગી હોય તો યે સવારમાં ઉઠતાવેંત રડવું ન ગમે. મારા સ્માઇલથી મમ્મી એવી ખુશ થાય !! અને મને બ્રશ કર્યા વગર બ્રેકફાસ્ટ મળી જાય…  હવે હું રીસ્પોંસ આપતો થઇ ગયો છું… પપ્પા કે મમ્મી મારી પાસેથી મને બોલાવ્યા વગર પસાર થઇ જાય તો હું જરાય ન ચલાવું.. આમ પપ્પા કહે કે હું ઘરમાં વીવીઆઇપી છું અને પાછા કામમાં મને ભુલી જાય તે ચાલે ?? સાચું કહેજો હોં દાદીમા !!

હું જાગતો હોઉં ત્યારે ઘોડિયામાં પડ્યો પડ્યો દિવાલ પર લટકાવેલા મમ્મીના પેઇંટિંગ્સ જોયા જ કરું. મમ્મી સરસ પેઇંટિંગ કરે છે નહીં દાદીમા ?? મને લાગે છે કે હું મોટો થઇને કવિતા યે લખીશ અને પેઇંટિંગ પણ કરીશ. આફટરઓલ એ મારા મમ્મી અને પપ્પા બંનેનો વારસો છે.. મમ્મીએ મારા પપ્પાનો સ્કેચ દોરવાનું શરુ કર્યું હતું, કયારે પુરો થશે ખબર નથી.. આમે ય હું એને જરાય ફ્રી પડવા દેતો નથી..

હિના, જોજે… આર્યનને પવન લાગી ન જાય ….. એનું માથું ખુલ્લું ન રાખીશ….. એને લઇ લે ને, ભુખ્યો થયો હશે… જો એનું શરદીથી નાક બોલે છે… sleeping bag  પહેરાવી હોય તો પણ છાતી પર ભાર રહે એમ ઓઢાડવુ…એની ડોકનું ધ્યાન રાખજે નહીંતર ગળું પડી જાય..આર્યનને રોજ માલિશ કરજે… વગેરે વગેરે કેટલીયે સુચનાઓ મમ્મીને બરાબર યાદ છે હોં દાદીમા !!

પપ્પા કહે છે હું થોડોક મોટો થઇશ એટલે મને દર વેકેશનમાં તમારી પાસે ઇંડિયા મોકલશે. જે તમે એમને શીખવ્યું એ બધું મારે શીખવાનું છે.. કેવી મજા પડશે દાદીમા !! પછી દાદાજી કહેશે, નિસર્ગ, મારો આર્યન તારા કરતાં યે વધારે હોંશિયાર છે !!! પપ્પા ખરા છે, દાદા દાદી તો પેમ્પર કરે જ ને !! તમે એમનું ન માનશો  હોં… મને તમારા બહુ જ, બહુ જ લાડ જોઇએ……એના વિના ચાલે જ નહીં….

સૌથી ઇમ્પોર્ટંટ વાત !!! નાનાજીએ તમને ખાસ કહીને આપી હતી કે આ સવાશેર સુંઠ એક મહિનામાં હિનાને ખવડાવી દેજો. દાદીમા, મારી મમ્મી યે કેવી જબરી છે !! એણે એકેય વાર ના ન પાડી.. કોની માએ સવાશેર સુંઠ ખાધી છે ? આ આપણી કાઠિયાવાડી ચેલેંજ…. હું મોટો થઇને કહીશ હા, મારી માએ સવાશેર સુંઠ ખાધી છે… કોઇની તાકાત નથી કે મને હેરાન કરે !!

હજી મારે કેટલું યે લખવાનું છે પણ આવતા પત્રમાં… તમને મજા પડી ને મારો પત્ર વાંચવાની !!!

તમારો ખુબ વહાલો પૌત્ર આર્યન

 

 

Posted by: readsetu | મે 8, 2012

તાળું ખોલતાં જ

દિવ્ય ભાસ્કર > મધુરિમા > 1 મે 2012

કાવ્યસેતુ 33   લતા હિરાણી

 

તાળું ખોલતાં જ

હાઉક કરતી નટખટ ધૂળ

અંતરંગ સખી બની વળગી પડી !

સ્વગૃહ-પ્રવેશની એક ક્ષણમાં

કડવી, નકામી સ્મૃતિઓ સરી ગઇ !

પોતીકા સ્થળે પાછા ફરવું

કેટલું સુખદ

કેટલું જાજરમાન લાગે છે ! ……….કૌમુદિની શુક્લ

એક સ્ત્રી જ લખી શકે એવી કવિતા, એક સ્ત્રી જ અનુભવી શકે એવા મનોભાવ. દરેક સ્ત્રીને પોતાની જ વાત લાગે એવી સાવ નાનકડી, સરળ છતાં સ્પર્શી જાય એવું આ કાવ્ય છે. બહારગામ જતી સ્ત્રી હંમેશા ઘરને પોતાની છાતીએ વળગાડીને સાથે જ લઇ જતી હોય છે. પોતાના જવા અંગે એ જેટલી તૈયારી નહીં કરે એટલી તૈયારી એણે પોતાનું ઘર છોડતાં કરવાની હોય છે. એના બહાર ગયા પછી જો સંતાન કે પતિ ઘરમાં રહેવાના હોય તો તો પાર વગરની સૂચનાઓ આપવાની સાથે પોતે પાછી આવશે ત્યારે ઘરની કોણ જાણે કેવી દશા હશે એ ચિંતાનું મોટું પોટલું એ લઇને જશે. જો ઘર બન્ધ કરીને જવાનું હોય દૂધવાળા, ધોબીને સુચનાઓ આપવાથી માંડીને ખાવાપીવાનો ચીજોના નિકાલ કે ફ્રિઝમાં સ્ટોરેજ, ઘરમાં બધું ઢાંકેલું રહે એ વ્યવસ્થા અને ખાસ તો બારીબારણાં એવી રીતે પેક બંધ કરવા કે ઘરમાં બહુ ધૂળ ન ભરાઇ જાય ત્યાં સુધીનું કામ એનો કેટલોય સમય લઇ લેશે !!

 

ઘરની સફાઇ અને વ્યવસ્થા એ એક ગૃહિણી માટે બહુ મહત્વનો મુદ્દો છે. બહારગામ જતી વખતે એ એની ઉપર પ્રખર સ્વરૂપે ત્રાટકે છે. આ કાવ્યમાં બે મજાની વાત ડોકિયું કરીને ગોઠવાઇ જાય છે અને નમણાશથી વીંટળાઇ વળે છે. એક છે પોતાની એટલે કે ગૃહિણીની ગેરહાજરીમાં ઘરમાં પ્રસરી ગયેલી ધૂળ અને બીજી વાત સ્વગૃહે સુખદ પ્રવેશ. અહીં મજાની વાત એ છે કે જે ધૂળથી ગૃહિણી રોજ કંટાળતી હોય છે એ જ ધૂળ બહારથી પાછાં ફરતાં અંતરંગ સખી લાગે છે. કારણ બસ એક જ કે ધરતીનો છેડો ઘર.

ઘરની ધૂળને નટખટ બતાવવી અને એનું હાઉક કરીને સખીની જેમ વળગી પડવું, અહીં કાવ્ય બને છે. સાવ સાદીસીધી વાતને કેવી ચોટદાર બનાવી દીધી છે !! ગૃહિણી અથવા આપણે કહીએ કે કવયિત્રી આ થોડાક શબ્દોમાં ફરીને બાળપણમાં પ્રવેશી જાય છે. નાનકડી સખીઓ એની પાસે પહોંચી જાય છે. કોઇ એની આંખ દાબે છે કે કોઇ એને હાઉક કરે છે !! અને વળી પછીની પંક્તિઓમાં એ પોતાના મૂળ સ્થાને, મૂળ રોલમાં પાછી ફરે છે.

સ્વગૃહ પ્રવેશ આમેય સુખદાયી જ હોય છે. સફરની કડવી મીઠી સ્મૃતિઓ સરી પડે છે. જો કે અહીં કડવી મીઠી સ્મૃતિઓને કશેય જોડી નથી એટલે એ બહારના પ્રવાસની હોઇ શકે અને ઘરમાં સાથે રહેતાં નાની નાની વાતોમાં એકબીજા પ્રત્યે ઊભી થતી ફરિયાદો, કડવાશો પણ હોઇ શકે. થોડા સમય માટે વાતાવરણ, જગ્યા બદલાવાથી મન હળવું થઇ જાય છે અને ઘર વધારે વહાલું લાગે છે. સરવાળે પોતાના ઘરમાં પાછા ફરવું એ પ્રસંગ બની જાય છે, એ ક્ષણો જાજરમાન બની જાય છે, યાદગાર બની જાય છે.

ઘર એમાં રહેનારાઓ માટે એ માત્ર છત, દિવાલો અને બારીબારણાં જ નથી, એક ચેતનતત્વ છે અને ગૃહિણી માટે તો એ પોતાનું અંગ જ. જે બહાર ગયા પછી એ વધારે બળુંકું અને બોલકું બની જાય છે. જરૂરી નથી કે બહાર અગવડો હોય ત્યારે આવું થાય. બહાર કદાચ ઘર કરતાં બધુ સગવડોયે હોય !! સગાંસ્નેહીઓની આગતાસ્વાગતાથી ઉભરાતા આવાસ કે બહારના ચકચકિત સફાઇદાર નિવાસ પછી ઘરની ધૂળ ચિત્તમાં વહાલથી ચોંટી પડે અને પેલું ચિંતાઓનું પોટલું આપોઆપ સરી પડે…. ત્યારે પોતીકાપણાની હૂંફ રોમેરોમમાં કેવી વીંટળાયેલી છે એનો અહેસાસ ઘેરો બને….. સ્ત્રીને માટે આ સનાતન સત્ય છે કે પ્રવાસમાં ઘર સતત સંતાકૂકડી રમ્યા કરે રાખે ને ઘરમાં પ્રવેશતાં હાઉક કરે પોતાપણું….  

 

 

 

 

 

દિવ્ય ભાસ્કર > મધુરિમા > કાવ્યસેતુ કૉલમ > 24 એપ્રિલ 2012

કાવ્યસેતુ 32  લતા હિરાણી  

શબ્દોનાં વન, તારા નામનો પવન પછી જીવવાનું કેવું મજાનું

આ ગીતો તો ક્યારનાંય શોધે છે સાજન, તમને મળવાનું બહાનું…..

દર્પણ પૂછે છે રોજ, આંખો લૂછે છે રોજ, ચહેરો ખૂટે છે એક ગમતો

ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું કે નવો પડછાયો મૂકવો છે રમતો.

કાનમાં કહું છું પેલા વાયરાની વાત, એમાં સંભળાતું નામ તારું છાનું…….

પીંછું પણ સામેથી મોરને શોધે છે એવા દિવસોને કહેવું પણ શું ?

ગીતોને પંક્તિની પાંખો ફૂટે એમ ઊઘડે છે આસપાસ તું

તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?….અંકિત ત્રિવેદી

 

ફરિયાદ વગરનો પ્રેમ હોય છે ખરો ? જવાબ ના આવે પણ ફરિયાદની વાદળી આકાશે છવાય ત્યારે મનમાં કેવા મેઘધનુષ ચિતરાય છે તો કોઇ સોળ વરસની કન્યાને જઇને પૂછો તો ખબર પડે !!  અલબત્ત  કવિએ આમાં કન્યાની વય ઉઘાડી નથી પણ બિડાયેલીયે નથીઘરમાં પતંગિયાની જેમ આમતેમ ઊડાઊડ કરતી ને મોરલાની જેમ ટહુકતી છોકરીના ગળામાં જે ગીત ફૂટે છે એના સાજનને મળવાના બહાના રૂપે જ વળી !! મનમાં પ્રિતમને કહેવાની વાતો એવી અઢળક ભરી છે કે શબ્દોના જાણે વન ફૂટ્યાં છે ને એની ઉપર લહેરાય  છે એના નામનો પવન….

મનમાં પ્રેમના ઝરણાં વહે, પછી કંઇ પણ બની શકેદર્પણને વાચા ફૂટે. એક મજાનો ગમતો ચહેરો શોધ્યા કરેછોકરીને તો ઠીક, ઘરની ભીંતોનેય નવા પડછાયાને બાથ ભરવાનું ઘેલું લાગે…. અને વાયરો હળવેકથી આવીને છોકરીના કાનમાં ઓલા છોકરાનું નામ કહી જાય !! મનડાની આસપાસ છેલછબીલો રાસ રમ્યા કરે એટલે છોકરીના ગીતોને પાંખો ફૂટે.. પછી મોર પીંછાને શોધે કે પીંછું મોરને… વાત તો એકની એક મારા ભઇ !! ને આ બધી મધમીઠી વાતો વેરી ને અંતે છોકરી મુદ્દાની વાત પર આવે છે,

હું તો તને મળવાનું બહાનું શોધું છું પણ તનેય એવું થાય છે ખરું ? દે, કંઇક સાબિતી દે તો માનું !!

કોઇકથી કહીયે બેસાય, અલી આ કંઇ કાયદાની વાત છે, કોરટ કચેરીનો મામલો છે તે સાબિતીની માંગે છે ?? તારે માનવું હોય તો માન…

જો કે એણે સીધેસીધી ફરિયાદ નથી કરી, પણ કહેવાનું કહી લીધું કે તને ય આવું થાય છે એની મને કેમ ખબર પડે ? ફરિયાદમાં દમ છે હોં !! ખરી વાત તો એ છે કે કહયું છે કંઇક છે ને માંગ્યું છે કંઇક બીજું. છોકરીએ પોતે કેવી પોતાના પ્રેમની ને પ્રેમમાં મનમાં ઊઠતાં મેઘલાની વાત કરી…. અરે, એને સાજન સુધી પહોંચાડવા એમાં શબ્દો ને ગીત, વળી પવન ને પીંચ્છનેય સામેલ કર્યા !! ઘરના દર્પણ ને ભીંતનેય ગળામાંથી ઊઠતા ગીતે સમાવી લીધા… આસપાસ પથરાયેલા જગતમાં ચારેકોર પ્રેમ ને પ્રેમ જ ભાળ્યો ને એ બધુંય પરોવીને પ્રેમી સુધી વહેતું મૂકી દીધું. પછી એ જુવાન ચુપ રહે એ ન જ ચાલે ને ?

સાચી વાત એ છે કે અહીં ફરિયાદના વેશમાં માગણી છે. છોકરી કહે છે, તુંયે મને આપ, પ્રેમના પુરાવાઓ આપ. કહે, દિલ ખોલીને કહે કે તુંયે મને એટલો જ પ્રેમ કરે છે કે નહીં ? મને છાતી ફાડીને કહે, એસએમએસથી નહીં ચાલે, ઇમેઇલ ચીતરીને મોકલ. કાગળ ભરીને કહે અથવા કર લાંબી લાંબી વાત… મારું હૈયું તને સાંભળવા તલપાપડ છે કે તું મને કેટલો પ્રેમ કરે છે ? રાત પડે ને લોક બધા સૂઇ જાય ત્યારે તારી વાતોનો સૂરજ ઊગાડ ને તારા શબ્દોના વરસાદથી મારા રોમેરોમને ભીંજવી દે !!   

કવિ ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે ને ,

આપું કાગળ કોરો

સોળ વરસનો એક જ ટહુકો લથબથ એમાં દોરો…….

આ ટહુકો અહીં મનગમતા રંગો સાથે લથબથ ઊઘડ્યો છે….

 

Posted by: readsetu | April 29, 2012

ટાઇમટેબલનો તરખાટ

Published in  Aaditya Kiran Sep. 2010

આમ તો અમે કશા બાધા, આખડી, મંતર, જંતરમાં માનીએ નહિ. ભુવા-ભારાડી, જ્યોતિષથી અમે દસ ગાઉ દૂર ભાગીએ. અમે ભલા અને અમારું કામ ભલું. બધા જ ગ્રહો અમને માફક આવે, અમે એમને માફક આવીએ છીએ કે નહિ એ ખબર નથી. મંત્ર-તંત્રની ગતિ અમને ક્યાંય અડે નહિ પણ આ એક સમયપત્રક બારે માસ એના લાવ-લશ્કર સાથે અમારા પર ત્રાટક્યા રાખે !! અનેક વાર એનાથી પીછો છોડાવવાનું દૃઢપણે નક્કી કર્યું તોયે હજી આજ સુધી એણે અમારો પીછો છોડ્યો નથી.

હજુ ગયા બેસતા વર્ષે જ અમે સંકલ્પ કર્યો કે હવેથી કોઇ સંકલ્પો કરવા નહિ !! કોઇ નિયમો બનાવવા નહિ !! કોઇ ટાઇમટેબલ ઘડવા નહિ !! આજ સુધીના અમારા અનુભવનો આ નિચોડ હતો !! એમ કહું કે આટલી લાંબી જિંદગીના તમામ અનુભવોનો આ સાર હતો, તોયે કંઇ ખોટું ન કહેવાય. કેમ કે જીવનભરની અમારી મુખ્ય પ્રવૃત્તિ જ આ રહી છે, ટાઇમટેબલ બનાવવું. અમારી દરેક વર્ષની ડાયરીઓનો મોટોભાગ સમયપત્રકો બનાવવામાં જ ખરચાયો છે.

આવો સંકલ્પ કેમ કરવો પડ્યો એ તો જેને સમયપત્રક બનાવવાનો રંગ લાગ્યો હોય એને જ સમજાય !! સમયપત્રક બનાવવાની પ્રક્રિયા કેવી અદભુત સુખદાયક છે એ જાણે માંહી પડ્યા તે મહાસુખ માણે જેવી વાત છે !!

ચાલો, તમને આ ટાઇમટેબલદેવની માંડીને કથા કહું…..જે આ કથા ધ્યાન ધરીને સાંભળશે એને એકસો ટાઇમટેબલ બનાવ્યાનું પૂણ્ય મળશે…(ભલે એકેયનું પાલન ન કર્યું હોય.)

નવું વર્ષ શરુ થાય એ પહેલાં નવી ડાયરીઓ જોવાનો રોમાંચ અનેરો હોય અને એથીયે વિશેષ હવે આ નવા વર્ષમાં એક અફલાતુન ટાઇમટેબલ ઘડી કાઢવું અને પછી આ વર્ષે તો એનો ચુસ્ત અમલ કરવો જ, એનુ થ્રીલ અંગેઅંગમાં વ્યાપેલું હોય !! આમ તો થ્રીલ કરતાં ઝનૂન શબ્દ વાપરવો વધારે યોગ્ય ગણાય. નવા સમયપત્રકે સજાવેલા શમણાં અમારા ચિત્તતંત્રના તસુએ તસુનો કબજો જમાવીને બેઠાં હોય. કંઇ કેટલાંય અધૂરાં અરમાનો જાણે આ એક ટાઇમટેબલ એકઝાટકે પૂરાં કરી દેવાનું હોય એવા લક્ષ્યની ઝણઝણાટી આખાયે તનમનમાં બહારવટિયાને ચડેલા શૂરાતનની જેમ વ્યાપેલી હોય….

ટાઇમટેબલ બનાવવામાં પહેલાં કાચો મુસદો તૈયાર કરવો પડે એટલે રફ કાગળમાં પહેલાં પેન મંડાય. આજ સુધીના આદર્યા ક્યારેય પૂરાં ન થયાં હોય એટલે પહેલાં તો પાંચ વાગે ઉઠવું એનાથી શ્રીગણેશ મંડાય, જો કે તરત જ માંહ્યલો પોકારી ઉઠે કે ના, આજ સુધી પાંચ વાગે ઉઠવાના પ્રયોગો સદંતર નિષ્ફળ ગયા છે. એલાર્મ બંધ કરીને પછી આઠ-સાડા આઠ જોવાનો જ વારો આવ્યો છે એટલે હવે મન સાથે કડકાઇ કરવી છે. પાંચ નહિ, ચાર વાગ્યાનો જ નિયમ !! અંદર બેઠેલો એક વેરી ક્યાંક છુપું હસતોય હોય, કર તું તારે, જેટલા નિયમ કરવા હોય એટલા કર, જોઉં છું કેટલા પળાય છે !! પણ આવા દુશ્મનોની એકેય ચાલ સફળ થવા નથી દેવી એય દૃઢ નિર્ણય હોય…

સવારે ઉઠવાનો મુદ્દો વિગતવાર એટલા માટે વર્ણવું છું કે એ પછીનું સમયપત્રક તો સડસડાટ ગોઠવાય જાય. જો એક વાર સમયસર ઉઠવાનું મહાયુદ્ધ જીતી લેવાય તો પછી આખા દિવસના સમયપત્રકનો મોક્ષ જ થાય પણ ખાટલે મોટી ખોડ એ કે એ ગઢ જીતવો બહુ દુષ્કર !! એમાં ગાબડાં પડ્યે જ રાખે..

સમયપત્રકની સવારમાં બે વાતે ગાબડાં પડે. પહેલું તો એવું થાય કે નવું સમયપત્રક બનાવ્યાનો અવર્ણનીય આનંદ અને એનું પાલન કરવું જ છે એવા નિર્ણયના ખુમારની ચેતના અંગેઅંગમાં એવી વ્યાપેલી હોય કે રાતે કેમેય કરી ઊંઘ આવે જ નહિ !! ઘડી ઘડી ઘડિયાળમાં જોવાઇ જાય અને જેમ જેમ સમય વીતતો જાય એમ પછી તો, ઓ બાપ રે, સાડા બાર થઇ ગયા !!, એક થઇ ગયો, દોઢ થવા આવ્યો…. હવે કેમનું ચાર વાગે ઉઠાશે ? એની ચિંતા વળગે…અને એવું થાય પછી તો પ્રિય વાચકો, સવારની કરુણતા તમે કલ્પી જ શકો છો !!

કદીક એકાદવાર જો ઊઠવામાં સફળતા મળી તો પછી એવું થાય કે સવારમાં પાંચ વાગે કે ચાર વાગે સપાટાબંધ ઊઠી ગયાથી સમયસર શરુ થયેલું સમયપત્રક આઠ-સાડા આઠ સુધી વિજયપતાકા લહેરાવતું કુચકદમ કર્યે જાય પણ નવ વાગતાં તો આંખો પર નિંદ્રાદેવીનો એવો હુમલો થાય કે જાણે બારેમેઘ ખાંગા થઇને નિંદર વરસાવતા તૂટી પડે !! સાડા નવ ને દસ વાગતાં આખી સેના રણમેદાનમાં ઢળી પડે. સમ ખાવા એકેય યોદ્ધો બચ્યો ન હોય !!

મને લાગે છે કે ટાઇમટેબલદેવની કથાના આ સવારનો ભાગનું જ માહાત્મ્ય છે. એમાં જ એનો સાર છે ને એમાં જ એની પૂર્ણાહૂતિ છે. જેમ ગીતાના માહાત્મ્યનું પઠન કરવાથી ગીતાપાઠનું ફળ મળે છે, કંઇક એવું જ. મારા વ્હાલા વાચકો, હવે દસ વાગ્યા પછીના ટાઇમટેબલની કથાનું પઠન કરવું વ્યર્થ છે ને ?

મારા વ્યવસાયને અંગે પણ ટાઇમટેબલદેવ મને એવાં ફળ્યાં નથી. શિક્ષક તરીકેની મારી નવી નવી નોકરીમાં મેં ગ્રંથાલયવિજ્ઞાનની કૉલેજમાં ભણાવવાનું કામ સંભાળ્યું હતું. મારા હાથમાં મારા પિરિયડોનું નવું નક્કોર ટાઇમટેબલ આવ્યું અને પછી હંમેશની જેમ મેં મારે ફાળે આવેલા ગ્રંથાલય વ્યવસ્થાપન વિષયને ભણાવવા અંગેનું ટાઇમટેબલ ગોઠવ્યું !! મૂળભુત રીતે સ્વભાવે હું અતિઉત્સાહી એટલે મારાં સમયપત્રકો તો એકદમ ફક્કડ હોય !!

છ મહિના સુધી ભણાવી દીધા (!!) પછી બ્રહ્મજ્ઞાન થયું કે મેં લેક્ચર ડિલિવર કરવાનું જ ટાઇમટેબલ ગોઠવ્યું હતું, એ મારા વિદ્યાર્થીઓના ભેજામાં ઉતરે છે કે નહિ, કે પછી કેટલું ઉતરે છે એ તપાસવાના ઉપક્રમનો એમાં ક્યાંય સમાવેશ હતો જ નહિ… પછીના છ મહિના દરમિયાન ભૂલસુધારણા ટાઇમટેબલ ઘડાયું ને અજમાયું… સફળ કેટલું થયું એ તો મારા એ અભૂતપૂર્વ સાહસના સહભાગીઓ  જાણે !!

લેખક તરીકેના મારા વ્યવસાયમાં મેં રચેલા અસંખ્ય ટાઇમટેબલો કોઇ દૂરંદેશી ધરાવતા પ્રકાશકની શોધમાં છે. કોઇ નવલકથા જેટલા એ રસપ્રદ છે અને નવા નિશાળિયા માટે પ્રેરણાનો મહાસાગર છે !! પણ એ સમયપત્રકોપનિષદ પ્રકાશિત ન થાય ત્યાં સુધી આપણે એટલે કે હું હવે વધુ લખવાનો અને તમે સહુ મારું લખેલું વાંચવાનો સમય બચાવીએ એ જ મુનાસિબ !!

 

Posted by: readsetu | April 28, 2012

તને જ કહેવાની વાત

કાવ્ય સૃષ્ટિ > ફેબ્રુઆરી માર્ચ 2006,   છાલક > જાન્યુ.2012

આ તો

તને જ કહેવાની વાત

તું ખીલત

ને હું ગીત ગાત

તો પછી

જળને પહેરીને

સાવ સુંવાળો

વાયરો અહીં વાત 

…….લતા હિરાણી   

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers