અનુભવની આંખે
અનુભવ… અનુભવની દુનિયાને ઓળખવાનો આજના પ્રભાતે એક વિશેષ અનુભવ. મારો અનુભવ, તમારો અનુભવ… પોતીકો અનુભવ, પારકો અનુભવ, ક્યારેક ઉછીનો લીધેલો અનુભવ…જીવનનો અનુભવ, જગતનો અનુભવ સંબંધો અને સૃષ્ટિનો અનુભવ,,,,,….શું છે આ અનુભવનું જગત ?? સુખથી છલકાતી કે પીડાથી ચીરી નાખતી કે પછી ક્યારેક આમ જ અમસ્તી આવીને અડી ગયેલી પળો…. જેમાં પડખું ફરતા હોઇએ એટલી સહજતાથી પસાર થઇ ગયા હોઇએ. આવી વીતી ગયેલી, ભોગવેલી કે વેઠેલી અને સ્પર્શેલી પળોના પ્રવાસ દરમિયાન ક્ષણે ક્ષણે મનમાં ઉઠતી ને વિસ્તરતી અનુભુતિનો સંચય કે એમાં સાંપડેલા મોતી એ અનુભવ…
આ અનુભવને આંખો હોય છે, અને પાંખો પણ હોય છે..અનુભવની આંખો જ્યારે સૃષ્ટિનું કલ્યાણ જ દેખે, અનુભવની પાંખો જ્યારે વિકાસના આકાશે ઉડે ત્યારે માનવીની ઉર્ધ્વગતિ હોય, પરમ તરફ પ્રયાણ થાય. અનુભવની ડાળી પર સાખ બેસે ત્યારે જીવનને સ્થિરતાની, સમજણની મિઠાશ સાંપડે.. પ્રત્યેક માનવી અનુભવોનો ખજાનો છે. જન્મ પછી બાળક અનુભવની મુડી એકઠી કરતું જાય છે – વૃક્ષ જે પાંદડા પહેરતું જાય, ડાળીઓ વિસ્તારતું જાય એટલી સહજતાથી… સારા, માઠા, સબળા, નબળા, મીઠા, ખારા, કડવા કેટકેટલા અનુભવો એક એક માણસ સંઘરીને બેઠો હોય છે !! દરેકે દરેક અનુભવ એના ચહેરા પર એક લકીર ખેંચતો જતો હોય છે….
જીવનનો અનુભવ માનવીના વાણી, વર્તન, વ્યવહારમાંથી પ્રગટ થાય છે, સ્મૃતિઓનું વન એના મનમાં પથરાતું રહે છે. અનુભવોની ખરલમાં ઘુંટાઇને નિખરે છે માનવીનું વ્યક્તિત્વ..જુદાજુદા અનુભવોથી માનવી જુદીજુદી રીતે ઘડાય છે. એટલે જ કોઇના સહવાસમાં શીતળ ચાંદનીનો અનુભવ થાય તો કોઇની પાસે જતાં દાઝી જવાય ! પણ આ શું અનુભવોનું જ પરિણામ છે ? ના. પોતાના અનુભવને માનવી કઇ રીતે મુલવે છે, કેવી આંખે જુએ છે એના પર બધો આધાર છે.એકસરખા અનુભવનું પરિણામ બે અલગ માનવીમાં અલગ જોવા મળે.
એક જ માતાપિતાના બે સંતાનો.એક દીકરો અત્યંત શાંત, સાલસ અને પ્રેમાળ – બીજો દીકરો ક્રોધી, અવિવેકી અને મનસ્વી. કારણ પૂછતાં એક દીકરાએ કહ્યું કે મારા પિતા અત્યંત ક્રોધી હતા. એમણે અમને કદી પ્રેમ નથી કર્યો એટલે હું શીખ્યો કે મારા સંતાનોને જીવનમાં કદી આવી ફરિયાદ નહીં હોય. બીજા દીકરાએ કહ્યું ક મારા પિતાએ મને વારસામાં ક્રોધ આપ્યો છે. એના વર્તનમાં જે હતું, સંતાનમાં એનો પડઘો જ જોવા મળે ને !! એકસરખા અનુભવના તદન જુદાં પરિણામ !! કહેવાનું તાત્પર્ય એટલું કે માનવી પોતાના અનુભવને કેવી રીતે મુલવે છે એના પર એના વર્તનનો આધાર છે નહીંતર સારામાં સારો અનુભવ પણ વાંઝિયો બની રહે ! દૃષ્ટિ સવળી હોય તો ખરાબ અનુભવનાં યે મીઠાં પરિણામ મળે.
વૃધ્ધાવસ્થા એટલે જ અનુભવોથી સમૃધ્ધ અવસ્થા. એટલે જ કદાચ વડીલો પોતાના અનુભવોની ખાણમાંથી સાંપડેલા મોતી અનુગામીઓને આપવા તત્પર હોય છે. પોતાના સંતાનોને પોતાના જેવી તકલીફ ન પડે અને એમને બધું સરળતાથી પ્રાપ્ત થાય એ માટે એમની પાસે ઘણું કહેવા શીખવવાનું હોય છે. અનુભવીની આંખ ઘણી વાર મહોરા પાછળનો સાચો ચહેરો કે પડદા પાછળનું દૃશ્ય જોઇ શકતી હોય છે. અને એ પણ ખરું કે અનુભવધારીઓ નવી વાત સ્વીકારવામાં કે નવું સાહસ ખેડવામાં ક્યારેક પાછા પડતા હોય છે. સરવાળે એટલું જ કે દિમાગ અને હૃદય બંને ખુલ્લાં રાખીને અનુભવની આંખે જોતાં રહેવું એ જ સાચો રસ્તો.
જન્મતાં જ માનવીનો પ્રવાસ ચાલુ થાય છે. આ યાત્રાને સામે છેડે મૃત્યુ છે. પળેપળના પ્રવાસનું અંતિમ ગંતવ્ય એ જ છે. પોતાની દૃષ્ટિ એ ખુલ્લી રાખે કે બંધ એણે હરપળ મરણની નજીક જવાનું છે.. એ એની પ્રકૃતિ છે, નિયતી છે અને એટલે જ જીવનને બીજા છેડે મળનારા તત્વની ઓળખાણ જેટલી જલ્દી, ખરી અને પાકી થાય, અનુભવના દરિયામાં સાચા મોતી એટલા જલ્દી પાકે અને એનાં અજવાળાં જીવન પર પથરાતા રહે. પ્રત્યેક અનુભવ વિવેકની કસોટીએ પરખાતો જાય અને એમાંથી મળતું અમૃત સૌને માટે શુભ ક્ષણો વરસાવતું રહે…
લતા હિરાણી
‘અમૃતધારા’ આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 02 ઑક્ટોબર 2007
welcome back..lata, all the best.
baki no need of words. right ?
By: nilam doshi on November 21, 2007
at 6:11 pm
Time is of your own making;
its clock ticks in your head.
The moment you stop thought
time too stops dead.
By: dost on December 12, 2008
at 2:50 pm
તમારી અને સુધા મૂર્તિની શૈલીમાં ઘણું સામ્ય છે, ગમ્યું. શુભેચ્છાઓ.
By: rajniagravat on April 22, 2009
at 11:46 am